હિંમતનગરઃ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો) દ્વારા આદિવાસીઓના કલ્યાણ માટે 9 ઓગષ્ટ 1982ના રોજ મળેલી બેઠક બાદ વિશ્વના તમામ દેશોમાં વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દર વર્ષે 9 મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

રવિવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે આવેલી આર્ડેક્તા ઇન્સટિટ્યુટના પટાંગણમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કોરોના મહામારીને પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે આ વિસ્તારના એકથી ત્રણમાં આવેલા બાળકોને વિવિધ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ રાજ્ય સરકાર દ્વારા 200 કરોડથી વધારેની રકમ દ્વારા સ્થાનિક વિસ્તારમાં લોકો સુખાકારી જીવન ગુજરાતી શકે તે માટે વિશેષ યોજના જાણકારી આપી હતી.

શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારના બાળકોથી લઇ તમામ લોકોના વિકાસ માટે કટિબદ્ધ છે. તેમજ હર હંમેશ માટે કટીબદ્ધ રહેશે. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા કલેકટર, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સહિત કોંગ્રેસના દંડક અશ્વિનભાઈ કોટવાળ ખાસ હાજર રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.
જો કે, હજુ સુધી વનવાસી વિસ્તાર સુધી સરકારની કેટલીય યોજનાઓ પહોંચી નથી, ત્યારે આગામી સમયમાં તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે.