રાજકોટઃ કોરોનાની મહામારીના કારણે હવે મોટાભાગના કામ ઓનલાઇન થઈ રહ્યાં છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. કેટલીક ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને મોબાઈલ મારફતે સતત ચાર ચાર પાંચ કલાક ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેનાથી તેઓ કંટાળી ગયા છે અને આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ પણ કોરોના મહામારીના કારણે મજબૂર હોવાનું જણાવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ઓનલાઈ શિક્ષણથી કંટાળેલી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતી ખુશી શિંગડીયા નામની 12 વર્ષની કિશોરી મોબાઈલ હોમવર્ક પૂરું કરવા મુદ્દે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જે સંદર્ભે ETV BHARAT દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા રાજકોટ તાલુકા પોલીસના પોલીસ ઇન્સપેક્ટર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કિશોરીને બે દિવસ પહેલા પોતાના નાના ભાઈ સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો અને ત્યારબાદ કિશોરીએ જે દિવસે આપઘાત કર્યો તે દિવસે પણ કિશોરી ન્હાવા માટે તેની મમ્મીએ તેને બે-ત્રણવાર ઠપકો આપ્યો હતો. જેનું કિશોરીને માઠું લાગી આવતા તેને આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ખુશી રાજકોટના જય કિસાન સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી હતી. તે બે બહેન ભાઈમાં મોટી હતી. હાલ ઓનલાઇન શિક્ષણના કારણે 12 વર્ષની કિશોરીએ આપઘાત કર્યાનું પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. જ્યારે પોલીસ દ્વારા ખરેખર ઓનલાઈન શિક્ષણના કારણે આપઘાત કર્યો છે કે શું તે અંગેની તપાસ હાથધરી છે.