રાજકોટઃ ગોંડલ સાટોડીયા સોસાયટીમાં રહેતાં અને યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં સક્રીય સભ્ય પૃથ્વી યોગેશભાઈ જોષીને માણાવદર તરફથી જીજે.ઓ4-7366 નાં ટ્રકમાં ગૌવંશ ભરી મહારાષ્ટ્ર ધુલીયા ધકેલાઇ રહ્યાની બાતમી મળતાં પૃથ્વી જોશીએ યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં અન્ય વિજયભાઈ જાદવ, દેવાંગભાઇ જોશી, દશઁન સાકરવાડીયા ઉપરાંત ગૌસેવકો ગોપાલભાઇ ટોળીયા તથાં ગોરધનભાઈ પરડવાને જાણ કરતાં ગત રાત્રીનાં એક કલાકનાં સુમારે તમામ હાઇવે પર વોચ રાખી બેઠાં હતાં, ત્યારે ઉપરોક્ત ટ્રક પસાર થતાં તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો.
![Etv Bharat, GUjarati News, Rajkot News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-gauvansh-gayo-police-photo-gj10022_29052020100933_2905f_1590727173_195.jpg)
જે બાદ ટ્રક ચાલકે રોકવાને બદલે ફુલ સ્પીડે ટ્રકને ભગાવતા તેનો પીછો કરાયો હતો. ટ્રક રાજકોટ થઇને ચોટીલા તરફ ભાગતા ચોટીલાના ગૌસેવકો દલસુખભાઇ અજાડીયા તથાં જયદિપભાઇ ખાચરને જાણ કરાતાં ચોટીલા ચામુંડા પોલીસ ચોકી પાસે ટ્રક ઝડપાઈ જતાં ટ્રકમાં તાલપત્રી નીચે કૃરતાપુવઁક બાંધી રખાયેલી નવ જેટલી ગાયોને મુકત કરાઇ હતી.
વધુમાં ચોટીલા પોલીસને જાણ કરાઇ હોવાથી પોલીસે ટ્રક ડ્રાઇવર માણાવદરનાં ખાંભલાનાં ભાવેશ બાવાજી તથાં કાર્તિક નામનાં શખ્સની અટક કરી પુછપરછ કરતાં માણાવદરથી કરશન રબારી તથાં ધોરાજીનાં મહેબુબ આમદ મતવાએ ગૌવંશ ભરી ધુલીયા મોકલાઇ રહયાનું જણાવતાં ચોટીલા પોલીસે પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ સહીત ગુન્હા નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
યુધ્ધ એજ કલ્યાણ ગૃપનાં પૃથ્વી જોશીએ જણાવ્યું કે, અન્ય અઢાર જેટલી ગાયો બે અલગ ટ્રકમાં લઇ જવાઇ રહી હતી. જે પૈકી એક તારાપુર ચોકડી નજીક અને બીજી બોરસદ ભરુચ વચ્ચે ઝડપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત્ત શનિવારે કતલખાને ધકેલાઇ રહેલા પશુઓનાં મુદ્દે ગોંડલમાં બે જુથ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં પોલીસે ગૌસેવકો તથાં યુધ્ધ એજ કલ્યાણ ગૃપના મેમ્બરો સામે ફરીયાદ કરી હતી. આ મુદે ગોંડલ સ્વયંભૂ બંધ રહ્યું હતું.