- ખોડલધામ મંદિર પરિસરમાં ભાજપના કાર્યકરો ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ
- પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટના વાહનના કાફલાના કારણે હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામ
- રાજ્યના કેબિનેટ પ્રધાન અને પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા
જેતપુર: ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા ધાર્મિક સ્થળોના દર્શન શરૂ કરવાનો કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે તેઓ વિરપુર (જલારામ) કાગવડ ખાતેના ખોડલધામ મંદિર ખાતે પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા. પ્રશાંત કોરાટ હાલમાં જ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ નિયુક્ત થયા છે. આ પહેલા તેમના માતા જશુમતીબેન કોરાટ પણ ભાજપ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા યોજવામાં આવેલી ધાર્મિક યાત્રામાં તેઓ પોતાના સમર્થકોને માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા. આ સાથે જ ખોડલધામ મંદિર પરિસરમાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ માસ્ક વગર કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા નજરે ચડ્યા હતા. આ સાથે યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ અને તેમના સમર્થકોને વાહનોના કાફલાના કારણે વિરપુર પાસેની કાગવડ ચોકડી પાસે નેશનલ હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: No Social Distancing: સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના નેતાઓ જ ભાન ભૂલ્યા, સોશિયલ ડિસ્ટન્સના ઉડાડ્યા ધજાગરા
પોલીસ અને વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા આંખ આડા કાન
વર્તમાન સમયમાં જ રાજકોટના નવનિયુક્ત કલેકટર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અંગે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન અને યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ આ જાહેરનામાનો ઉલાળિયો કરતા નજરે પડ્યા હતા. જેમાં તેઓ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, જો આ નેતાઓની જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક હોત તો તેમની પાસે પોલીસ દ્વારા માસ્કનો દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત.