- પોરબંદરનું અમૃતા નામનું જહાજ પાણીમાં ડૂબી ગયું
- વધુ ઝડપે પવન ફૂંકાતા ખલાસીઓએ જહાજ પર કાબૂ ગુમાવ્યો
- જહાજ પરના 9 ખલાસીઓનો આબાદ બચાવ થયો
પોરબંદર : દરિયા ખેડૂ જ્યારે દરિયામાં માછીમારી માટે જતા હોય છે ત્યારે મોતને સાથે લઈને જતા હોય છે. તેઓ પરત ફરશે કે નહિ તે નક્કી હોતું નથી. સાહસિક રૂચિ ધરાવતા દરિયાખેડુઓને કોઈની મદદ મળી રહે છે અને હેમ-ખેમ પરત ફરે છે. આવી જ ઘટના પોરબંદરના અમૃતા નામના જહાજના ખલાસીઓ સાથે બની છે. અમૃતા નામનું જહાજ તો ડૂબી ગયું પરંતુ 9 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.
વધુ ઝડપે પવન ફૂંકાતા ખલાસીઓએ જહાજ પર કાબૂ ગુમાવ્યો
પોરબંદરના અમૃતા નામનું જહાજ માંડવીના સલાયાના સાત અને જામનગરના જોડીયાના એક અને ભાવનગર મહુવાના એક ખલાસી સાથે 9 ખલાસીઓ સહિત આ જહાજ દરિયો ખેડવા ઓમાન તરફ જતું હતું. તે દરમિયાન તારીખ 2/06/2021ના રોજ પ્રવાસ દરમિયાન રાસલહાદ અને મશીરા વચ્ચે પહોંચતા રાત્રિના સમયે વાતાવરણ ખરાબ થયું હતું. વધુ ઝડપે પવન ફૂંકાતા ખલાસીઓએ જહાજ પર કાબૂ ગુમાવ્યો હતો.
દુબઈના જહાજના ખલાસીઓનો આભાર માન્યો
જહાજમાં સવાર 9 ખલાસીઓનો જીવ પડીકે બંધાયો હતો અને જીવ બચાવવાની એક આશા બાંધીને બેઠા હતા. એવા સમયે સંકટમોચન બનીને દુબઇના એક જહાજ ફતેહ અલબારીએ તમામ 9 ખલાસીઓ ને બચાવી લીધા હતા. તમામને ઓમાનના સૌર બંદરે સહી સલામત ઉતાર્યા હતા. આબાદ બચેલા ખલાસીઓને હેમ-ખેમ પરત પહોંચાડતા તેઓએ દુબઈના જહાજના ખલાસીઓનો આભાર માન્યો હતો.
પોરબંદરની એક શિપિંગ કમ્પનીનું અમૃતા નામ જહાજ
અમૃતા જહાજ પોરબંદરની એક શિપિંગ કંપનીનું હોવાનું અને તેના રજિસ્ટ્રેશન નમ્બર PBR 1674 હોવાનું જણાયું હતું. આ જહાજ તા 30/05/2021ના રોજ કાર્ગો ભરી દુબઈથી યમન તરફ જઈ રહ્યું હતું. જેની ક્ષમતા 1,000 મેટ્રીક ટન હતી.
આ પણ વાંચો : જહાજ નિર્માણમાં 'આત્મનિર્ભર ભારત' માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
અમૃતા જહાજના આબાદ બચાવાયેલ ખલાસીઓના નામ
આમદ જુનસ જાફરાણી, અનિષ ઓસમનગની સોઢા, અનવર આમદ સોઢા તથા ફહદ અનવર સીરૂં, હસન આમદ જાફરાણી, મોહંમદ સીદીક રમજું કોરેજા, યુનુસ આમદ જાફરાણી તમામ મોટા સલાયા (માંડવી)ના તથા જામનગરના જોડિયા ગામના કાસમ બાવલા અને મહુવા (ભાવનગર)ના વાલજી મંગાભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.