પોરબંદરઃ શનિવારે સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર અને નવદુર્ગા ગરબી મંડળ ગોપાલપુરાના સહયોગથી ઘરે ઘરે આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાનુ વિતરણ કરાયું હતું. જેમાં કુલ 1046 ઘરોમાં 4705 લોકોને લાભ આપવામાં આવ્યો હતો.
સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં 2 લોકોની ટુકડી બનાવી સોશિયલ ટેસ્ટિંગના સંપૂર્ણ અમલ સાથે લોકોને સીધી જ ઉકાળો અને ઇમ્યુનીટી બુસ્ટર હોમિયોપેથીક દવા ઘર સુધી પહોંચાડી હતી.
રાણાવાવના વાડી પ્લોટ, ગોપાલપુરા, હોળી ચકલા, શ્રીબાઇ નગર, મફતીયા પરા, વાલ્મીકિ વાસ, દેવિપુજક વિસ્તાર, ગ્રીન સીટી, પરેશ નગર, પટેલ સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી, આશાપુરા સોસાયટી, વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે તેમજ મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, નગરપાલિકા, પીજીવીસીએલ ઓફિસ, તાલુકા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં પણ ઉકાળાનું વિતરણ કર્યું હતું.
RSS રાણાવાવના 40થી વધુ સ્વયંસેવકો તેમજ ગોપાલપુરા ગરબી મંડળના કાર્યકરો સંઘના ગણવેશમાં વિતરણ વ્યવસ્થામાં સ્વયં શિસ્ત રાખીને જોડાયા હતા.
આ કાર્યક્રમનો શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. તેમજ સ્વયંસેવકો જ્યારે ઉકાળો પીવડાવવા જતા હતા, ત્યારે લોકોએ સ્વયંભૂ આભાર માન્યો હતો. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.
આ સરકારી આયુર્વેદ હોસ્પિટલ આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરના તબીબ ડો. કાર્તિક સોલંકી, સ્નેહા પરમાર તેમજ હોમીઓપેથીના ડો. સંજય ઠકરાર સતત માર્ગદર્શન અને હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, RSS રાણાવાવ દ્વારા અગાઉ 331 જરૂરિયાતમંદ કુટુંબોને રેશન કીટ તેમજ 347 વ્યક્તિઓને વિનામૂલ્યે માસ્ક વિતરણ કરાયું હતું.