પોરબંદર: રાષ્ટ્રીય અંધજન ધ્વજદિન 14 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે નેત્રહીન માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ જુદી-જુદી હરીફાઈઓ રાખે છે અને લોકોમાં જઈને તેમને ફ્લેગ આપીને ભંડોળ ભેગું કરે છે. નેત્રહીનઓના અંધત્વ નિવારણ માટે અને તેને લગતા પુનર્વસન કાર્ય માટે આ ભંડોળ વપરાય છે. દર વર્ષે આ કાર્યક્રમ 14 સપ્ટેમ્બરે અમદાવાદમાં અંધજન મંડળના વિશાળ હોલમાં યોજાતો હોય છે. જોકે કોરોના મહામારીના પગલે આ કાર્યક્રમ ઓનલાઇન યોજાયો હતો, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ સાથે કામ કરતી 25 સંસ્થાઓએ ભાગ લીધો હતો.
જેમાં દિવ્યાંગ બાળકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકાંકી નાટક તેમજ સામુહિક રાસ ગરબા અને ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશીર્વાદ વિકલાંગ કેન્દ્ર શાળા, ક્ષમતા વિકલાંગ કેન્દ્ર લીંબડી, ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને બધીરાંધ સેન્ટર પોરબંદરના બાળકોએ પોતાના ઘરે વીડિયો બનાવી અંધજન મંડળમાં મોકલ્યા હતા. તેને ઝુમ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન પ્રસારિત કર્યો હતો, જેનાથી બાળકો વાલીઓ તથા શિક્ષકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.
પોરબંદરના પરમાર અર્જુન, મેનિયા હેતલ, થઇમ નિઝામ દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને મુકબધીરાંધ બાળકો માટે આવી પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવે તો તેનામાં ઉત્સાહમાં વધારો થાય છે તેમ પોરબંદર મુકબધીરાંધ સેન્ટરના સંચાલક પુનમબેન જુંગીએ જણાવ્યુ હતું.