પાટણઃ ઐતિહાસિક નગરી પાટણનો શનિવારે 1274મો સ્થાપના દિવસ હતો. પાટણવાસીઓએ સ્થાપના દિન હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. નગર દેવી કાલિકા માતાના મંદિરેથી શોભાયાત્રાને રાજવી પરિવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવી હતી.
સિદ્ધરાજ જયસિંહના કુકડ ધ્વજ સાથે ઘોડેસવાર રાજપૂત આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. વિવિધ સંસ્થાઓના ટેબ્લો ભજન મંડળીઓ અને રાસ મંડળીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

રાજપૂત યુવાનોએ શોભાયાત્રાના માર્ગો પર તલવારબાજી અને ઘોડેસવારીનાં કરતબ બતાવ્યા હતા. નગરજનો દ્વારા ઠેરઠેર વિવિધ સ્ટેટના રાજવીઓની સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા બગવાડા દરવાજે પહોંચતા રાજપૂત આગેવાનો અને પાટણના અગ્રણીઓએ વનરાજ ચાવડાના તૈલ ચિત્રને અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને પુષ્પાર્પણ કરી પાટણની પ્રભુતા કાયમ રહોના નારા લગાવ્યા હતા.

નગર દેવીના મંદિરેથી નીકળેલી આ શોભાયાત્રા બગવાડા સ્થિત અભિવાદન સમારોહ સ્થળે પહોંચી હતી, જ્યાં મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વણોદ સ્ટેટના રાજવી ઈનાયત ખાન રાઠોડ, વાવ સ્ટેટના ગજેન્દ્રસિંહ ચૌહાણ, કટોસન સ્ટેટના ધર્મપાલ સિંહ ઝાલાએ ખાસ ઉપસ્થિત રહી ઉજવણીની શોભા વધારી હતી.