પાટણ: શહેરના ભદ્ર વિસ્તારમાં કોટને અડીને સબ જેલ કાર્યરત કરવામાં આવી હતી. આ જેલમાં આરોપીઓને કેદી બનાવીને રાખવામાં આવતા હતા અને આ જેલમાં કેદીઓ સજા પણ ભોગવતા હતા, પરંતુ 10 વર્ષ અગાઉ પાટણથી થોડે દૂર સુજનીપુર ખાતે સરકાર દ્વારા અદ્યતન સેન્ટ્રલ જેલ કાર્યરત કરવામાં આવતાં ભદ્ર વિસ્તારમાં આવેલી જૂની અને જર્જરીત બની ગયેલી જેલ બંધ કરી દેવામાં આવી હતી. જે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળે છે. આ જગ્યા ઉપર જેલ કાર્યરત હતી, ત્યારે અહીં કોઈ અસામાજિક તત્વો ફરકતા પણ ન હતા, જ્યારે હાલમાં આ જગ્યા પર અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે. જેના કારણે આ વિસ્તારના સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે અને સરકાર દ્વારા આ જગ્યા પર લોક ઉપયોગી કાર્ય કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી જૂની સબ જેલની જગ્યા બાબતે અધિક નિવાસી કલેક્ટર એન.ડી.પરમારે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સુજનીપુર ખાતે નવી જેલ બનતા આ જેલ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પોલીસ ક્લબ અને મેષ માટે માગણી કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 11 ઓગસ્ટ 2020ના રોજ આ જગ્યા પોલીસ સોંપવામાં આવી છે.