પાટણના હારીજ તાલુકાના બુટવાડા ગામે ગત તારીખ 19 જાન્યુઆરીના રોજ પરિણીત મહિલા બાથરૂમમાં પડી જવાથી ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ આ મોત પાછળ મહિલાના પિયર પક્ષના લોકોને શંકા જતા તેઓએ મહિલાના પતિ વાઘાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેનો પતિ તેને પિયર આવવા દેતો ન હતો. તેમજ ખોટી શંકાઓ રાખી વારંવાર મારઝૂડ કરતો હતો. ગત તારીખ 19 ના રોજ પણ પરિણીતાને અસહ્ય માર મારી હત્યા કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે આઈપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી પતિની ધરપકડ કરી હતી. ત્યારે પરિણીતાના પરિવારજનોએ જમાઇ સામે પુત્રીની હત્યાનો ગુનો નોંધાવતા ચકચાર મચી ગઇ હતી.