પાટણઃ જિલ્લામાં અનલોક-1માં કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોને આધીન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને પગલે પાટણ શહેરમાં બે દિવસ અગાઉ ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ અને સેનેટાઇઝ કર્યા બાદ સોમવારે સવારથી મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દ્વાર ખુલ્યા હતાં. છેલ્લા અઢી મહિનાથી પ્રભુદર્શનથી દૂર રહેલા શ્રદ્ધાળુઓ પ્રથમ દિવસે દર્શન કરવા વિવિધ મંદિરોમાં આવ્યા હતા. મંદિરના વહીવટકર્તાઓ દ્વારા સરકારના નિયમો મુજબ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કુંડાળા, દોરડા બાંધી તેનાથી આગળ નહીં વધવા અને ક્રમબંધ રીતે જ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે પ્રવેશવાની અને બહાર નીકળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પાટણના હાઇવે સહિત શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટો પણ ખુલતા તેના સંચાલકો દ્વારા સરકારના નિયમોનું પાલન કરી ભીડ ન થાય તે માટે એક ટેબલ પર માત્ર બે વ્યક્તિઓ બેસે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ હોટલના સ્ટાફને માસ્ક, હેન્ડ ગ્લોઝથી સજ્જ કરી સંક્રમણ ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. સ્થાનિકોને પાર્સલ સુવિધાથી જોઈતી વસ્તુ મળી રહે તે પ્રકારેની પણ વ્યવસ્થા કરાઇ છે.
