ગાંધીનગરની વિજિલન્સ ટીમ દ્વારા કાલોલના સરકારી અનાજના ગોડાઉનનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઘઉંની 16 હજાર,ચોખાની 2500 જેટલી બોરી મળી અંદાજિત રૂપિયા 1.56 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવતા આ સમગ્ર મામલે મોડા મોડા પણ જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ભારે રાજકીય પીઠબળ ધરાવતા એવા બેલદાર બંધુઓ સહીત ભૂતકાળમાં કાલોલ ખાતે ફરજ બજાવી ચૂકેલા મેનેજરો તેમજ ઓડિટરો સહીત 9 ઈસમો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ આ સમગ્ર કૌભાંડના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરાના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જે ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવાઇ હતી. તે મુજબ કૌભાંડનો આંકડો રૂપિયા 3 કરોડને પણ વટાવી ચુક્યો છે.
આ ફરિયાદ મુજબ રૂપિયા 2 કરોડ 73 લાખ 30 હજારની કિંમતની ઘઉંની 14853 બોરી અને રૂપિયા 7028000ની કિંમતની ચોખાની 2699 બોરી તેમજ રૂપિયા 72000ની કિંમતની 18 બોરી તથા કપાસિયા તેલના 3 ટીન જેની કિંમત 7692 રૂપિયા થાય છે. જે મળી કુલ રૂપિયા 3 કરોડ 44 લાખ 39 હજાર 345 રૂપિયાનો જથ્થો બારોબાર સગે-વગે કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ 9 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કુલ મળી કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ સહીત 9 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના પગલે હવે કાલોલ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જો તટસ્થ તપાસ થાય તો આ અનાજ કૌભાંડમાં કેટલાય રાજકીય નામો સામે આવવાની શક્યતાઓ છે. જો કે પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.