પંચમહાલઃ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આ દરમિયાન જે વિસ્તારમાં કોરોના વાઇરસના કેસનું પ્રમાણ વધુ નથી, તેવા વિસ્તારોમાં બાંધકામને લગતી કામગીરીને પરવાનગી આપવામાં આવી છે. જેનો બમણો લાભ ખનીજ માફિયાઓ લઇ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. કારણ કે, ખનીજ માફિયાઓ કપચી અને રેતીની ટ્રકોને રોકટોક વિના હંકારી રહ્યા છે. આમાં પણ ખાસ કરીને દામાવાવ નજીક આવેલા સીમલિયા, દેવલીકુવા ખાતે આવેલી નદીના પટમાંથી રેતી ભરીને પોતાના ખીસા ભરી રહ્યા છે. જો કે, આ રેતી ભરેલી ટ્રકો પાસ પરમીટ છે કે નહીં એ પણ તપાસનો વિષય છે.
રવિરાવે રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક રેતી ભરેલી ટ્રકનું ટાયર ફાટતા ટ્રકમાં આગ લાગી હતી. આ ટ્રક દામાવાવ તરફથી ગોધરા તરફ જઈ રહી હતી. આગ લાગતાની સાથે પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે આવી ગયો હતો. આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે, પરંતુ ટ્રક બળીને ખાખ થઇ છે.
આમ તો તંત્ર સવારે 7 વાગ્યથી સાંજના 7 વાગ્યા સુધી સામાન્ય નાગરિકોના અવર-જવર માટેના પરિપત્રો બહાર પાડે છે. એવામાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે, શું ખનીજનું વહન કરતા લોકો માટે અલગથી વ્યવસ્થા કરી હશે? કે પછી મોડી રાત્રે કઈ ઓફીસમાંથી આ લોકોને પરમીટ મળી હશે?