નવસારી: ગાયકવાડી રાજના નવસારી શહેરમાં એવી કેટલીય ઈમારતો છે, જે 100 કે તેથી વધુ વર્ષો વિતાવી ચુકી છે. જેમાં ક્યાક ભાડૂઆતો સાથે માલિકોના અણબનાવ જવાબદાર છે તો ક્યાક માલિકો બીજે રહેતા હોવાથી ઈમારતો જર્જરિત થઈ છે. ચોમાસામાં ભારે વરસાદમાં આ જર્જરિત ઈમારતો ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભીતિ રહે છે.
નવસારી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી અંદાજે 200થી વધુ જર્જરિત ઈમારતો છે. જો કે ચોમાસા પૂર્વે નવસારી નગરપાલિકા આવી જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટે નોટિસો પાઠવતી હોય છે. એમાં પણ સૌથી મોટી વાત ભાડૂઆતો નોટીસો લેતા નથી અને માલિકો નહીં હોવાથી નોટિસો ઈમારતોની ભીત પર ચોંટીને જ રહી જાય છે. જે કારણે જર્જરિત ઈમારતોને રિપેર કે ઉતારી પાડવા માટેની કોઈ નક્કર કામગીરી થઈ શકતી નથી.
![dilapidated buildings in Navsari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-jarjar-imarat-rtu-gj10031_10062020192435_1006f_02869_742.jpg)
કેટલીક ઈમારતો શહેરના મુખ્ય માર્ગોને અડીને આવી છે. જો ભારે વરસાદમાં આ ઈમારત તૂટી પડે તો મોટી જાનહાની થાય તેવી સંભાવના છે. જ્યારે વિપક્ષ પાલિકાના અધિકારી અને શાસકો સામે જર્જરિત ઈમારતો મુદ્દે નક્કર કામગીરી ન કરી હોનારતને આમંત્રણ આપતા હોવાનો આક્ષેપ લગાવી રહ્યો છે.
![dilapidated buildings in Navsari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-jarjar-imarat-rtu-gj10031_10062020192432_1006f_02869_115.jpg)
શહેરમાં આવેલી જર્જરિત ઈમારતોને નોટીસો પાઠવી સંતોષ માનતી પાલિકા સામે દર વર્ષે ચોમાસામાં જર્જરિત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ગત ચોમાસે પણ શહેરના જલાલપોર વિસ્તારમાં બે અને તરોટા બજાર નજીક એક મળી કુલ 3 જર્જરિત ઈમારતો તૂટી પડી હતી. જેમાં બે મકાનોમાં લોકો રહેતા હતા, પણ સદનસીબે તેમનો બચાવ થયો હતો.
![dilapidated buildings in Navsari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-jarjar-imarat-rtu-gj10031_10062020192435_1006f_02869_909.jpg)
છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં 44 જર્જરિત ઈમારતો ઉતારી લેવામાં આવી હોવા સાથે જ અતિ જર્જરિત ઈમારતોની પાલિકા ઉતારી લેતી હોવાનો દાવો પાલિકા COએ કર્યો છે, પણ જમીની હકીકત કઈ અલગ જ જોવા મળી રહી છે.
![નવસારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-jarjar-imarat-rtu-gj10031_10062020192435_1006f_02869_749.jpg)
શહેરમાં વર્ષો જૂની ઇમારતો જર્જર બની છે, તો કેટલીક ઇમારતો અતિ જર્જરતાને કારણે ખંડર બની છે. તેમ છતાં નવસારી પાલિકા દ્વારા પાઠવતી નોટીસોનું કંઈ ઉપજતું નથી. જ્યારે પાલિકા જર્જર ઈમારતોને ઉતારી પડાતી હોવાના બણગાં ફૂંકે છે, જોકે આ ચોમાસે કેટલી ઈમારતો હોનારત સર્જશે, એ જોવું રહ્યું.
![નવસારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-jarjar-imarat-rtu-gj10031_10062020192435_1006f_02869_666.jpg)