મોરબી : આમરણ, ફડસર સહિતના ગ્રામ્ય વિસ્તારની આસપાસમાં ભારે વરસાદ પડવાના કારણે મોટાભાગના કોઝવેમાં વરસાદી પાણી ગરકાવ થઇ ગયા હતા. તેમજ રસ્તા પણ બંધ થઇ ગયા હતા. એવામાં ફડસરથી આમરણ તરફ જવાના રસ્તા પરથી પોસ્ટમેન પોતાનું કામ પૂરું કરીને આમરણ પરત જઈ રહ્યા હતા. પરંતુ રસ્તા ઉપર પાણી આવી જવાના કારણે તેઓને ધર્મેશ્વર મહાદેવ મંદિરે રોકાવુ પડ્યું હતું. તો બીજી તરફ રાજકોટથી જીંજુડા દરગાહે દર્શન કરવા માટે આવી રહેલા એક બાળક સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓ પણ વરસાદી પાણી આવી જવાના કારણે પાણીમાં ફસાઇ ગયા હતા. તેઓ પણ ધર્મેશ્વર મહાદેવ મંદિર રોકાયા હતા.
આ વરસાદી પાણીની વચ્ચે 6 લોકો ફસાયા હોવાની જાણ થતાં તાલુકા મામલતદાર ડી.જે.જાડેજા, મોરબી તાલુકા પીએસઆઇ આર.એ.જાડેજા., નાયબ મામલતદાર સહિત એનડીઆરએફના જવાનો ધટના સ્થળે દોડી ગયા હતા, અને 1 કિ.મી અંદર જઈને 6 લોકોને રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા.