બનાવની મળતી માહિતી મુજબ હળવદના ગોકુળિયા ગામે સરકારની યોજના મુજબ મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે જોકે, બાળકોના મધ્યાહન ભોજન માટે આવેલા ચણાની ગુણવત્તા યોગ્ય ના હોય જેથી ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. તંત્રની આંખ ખોલવા માટે મધ્યાહન ભોજનના રૂમને જ તાળાબંધી કરી હતી અને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
મધ્યાહન ભોજનમાં વિદ્યાર્થીઓને સડેલા ચણા આપવામાં આવતા હોવાથી વાલીઓ રોષે ભરાયા હતા અને ગ્રામજનો શાળાએ એકત્ર થઈને રૂમને તાળાબંધી કરી હતી. જે બનાવ મામલે શાળાના આચાર્ય મનોજ સોની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ગ્રામજનોએ આજે તાળાબંધી કરી હતી તે બાબત સાચી છે. ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા નબળી હોવાનું અગાઉ પણ તેમને સંબંધિત તંત્રને જાણ કરી હતી. આજે વાલીઓએ મધ્યાહન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તાને લઈને નારાજગી દર્શાવી હતી.