સંતરામપુર તાલુકામાં આદિવાસીઓના શહીદ સ્મારક માનગઢ હિલ પર રાષ્ટ્રીય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન ગુજરાત અને રાજસ્થાનના ભીલ પ્રદેશ મુક્તિમોર્ચા, ગુજરાતના ભીલસ્થાન ટાઇગર સેના (BTS) અને મધ્યપ્રદેશના જય આદિવાસી યુવા શક્તિ (JAYS) સંયુક્ત ઉપક્રમે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યના આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્વેચ્છાએ, સ્વખર્ચે જોડાયા હતા.
આ સંમેલનમાં BTSના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવા, રાજભાઇ વસાવા, ધવલભાઇ ચૌધરી, રાજસ્થાનથી આદિવાસી પરિવાર સંગઠનના રાષ્ટ્રીય આગેવાન ભવરલાલ પરમાર, કાંતિભાઇ રોત, MLA રામ પ્રસાદ ડીંડોર, MLA રાજકુમાર રોત, મધ્યપ્રદેશથી લોકેશભાઇ, રાજુભાઇ વળવાઇ તેમજ અલગ-અલગ નામી અનામી અન્ય આગેવાનોએ એક મંચ પર આવી આદિવાસી સમાજની તમામ સમસ્યાઓ તેમજ બંધારણીય હક અધિકારો માટેની લડત એક સાથે ચલાવવા માટે સહમતી દર્શાવી હતી અને એક કેન્દ્રીય એકીકરણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સમાજના અલગ-અલગ સંગઠનો પોત-પોતાની રીતે લડત ચલાવતા હતા, પરંતુ છૂટા છવાયા હોવાના લીધે જોઇએ. એવી સફળતા મળતી ન હતી. તે માટે હવે બધા આદિવાસી સંગઠનો તેમજ સમગ્ર આદિવાસી સમાજ સાથે મળીને સમાજને મળેલા બંધારણીય હક અને અધિકારોનું અમલીકરણ તેમજ આદિવાસી સમાજના દરેક પ્રશ્નોનું નિરાકરણ માટેની લડત મજબુતાઇથી ચલાવશે.