લુણાવાડાઃ જિલ્લા વહીવટી તંત્ર કોરોના મહામારીને પહોંચી વળવા પુરા જોશથી કામગીરી કરી રહ્યું છે. ત્યારે કડાણા તાલુકાના શિયાલ અને કુરેટા તેમજ સંતરામપુર તાલુકાના કસલપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.
કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્વારા ઉકાળા વિતરણ સંશમની વટી આયુર્વેદિક ગોળીઓ, હોમીયોપેથીક દવા આર્સેનિક આલ્બ તેમજ વિસ્તારના લોકોની આરોગ્ય તપાસ તથા ડોર ટુ ડોર સર્વેલન્સ જેવા સુરક્ષાના સઘન પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે થયેલી આરોગ્ય લક્ષી કામગીરીનાં નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ વિસ્તારની મુલાકાત લીધી હતી.
તેમણે આરોગ્ય તંત્ર દ્વારા થયેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સલાહ સુચન આપી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ચિતાવા પ્રા.આ.કેન્દ્રની પણ મુલાકાત લઇ તેમજ જે ઘરમાં પોઝિટિવ કેસ આવેલ છે, તે ઘરના સભ્યોને મળી આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથી દવા લેવા સલાહ આપી હતી.
આ સાથે આરોગ્ય કર્મીઓને ડોર ટુ ડોર સર્વે કરવા સહકાર આપવા અપીલ કરી તમામ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ કન્ટેઇન્મેન્ટ વિસ્તારના ગ્રામજનોને કોરોના સંદર્ભે સાવચેતી રાખી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત વેળાએ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી. શાહ પણ જોડાયા હતા.