લુણાવાડા: કોરોના વાઇરસ (COVID-19) ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં કોરોનાને કાબુમાં રાખવા માટે નાનામાં નાની આરોગ્ય વિશયક કાળજી લઈને અનેકવિધ કાર્યો હાથ ધરાયા છે.
લુણાવાડા નાની પાલ્લી ગામે મનરેગા હેઠળ ચાલતા તળાવ ઉંડુ કરનારા 141 શ્રમિકોની આરોગ્ય ચકાસણી તે અનુસંધાને લુણાવાડા તાલુકાના નાની પાલ્લી ગામે સર્વે નંબર 44 માં ચાલતા મનરેગા હેઠળ તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં જોડાયેલા ગ્રામ્ય શ્રમિકોની આરોગ્ય ચકાસણી આર.બી એસ.કે ના મેડિકલ ઓફિસરશ્રી ડોક્ટર દત્તુ રાવલ અને તેમની ટીમ દ્વારા 141 શ્રમિકોનું થર્મલ ગનથી તેમના શરીરનું તાપમાન માપી કરવામાં આવી હતી. સાથે સાથે મનરેગા કામગીરીની મુલાકાતે આવેલ લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવકની પણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા કામગીરીમાં સંકળાયેલ શ્રમિકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર.બી એસ.કે ટીમ દ્વારા લોકોને સામાજિક અંતર જાળવવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ અને હેન્ડવોશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.