આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાના બાળકોના આરોગ્ય જતન માટે દર વર્ષે ઉજવાતો આ કાર્યક્રમ સામાન્ય દર્દોથી માંડી અતિ ગંભીર વ્યાધિઓ ધરાવતા બાળકો માટે મોટી સહાય પ્રદાન કરે છે. કેન્સર, હ્યદયરોગ, ટીબીથી માંડી અંધત્વ, મૂક-બધિર જેવા દર્દોથી પીડિત બાળકોને રાજય સરકાર નિઃશુલ્ક નિદાન, સારવાર, સહાય પૂરી પાડે છે.
25 મી નવેમ્બર 2019થી શરૂ થયેલા શાળા આરોગ્ય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં કુલ 2.97 લાખ બાળકો 0થી 18 વર્ષના શાળાએ જતાં ન જતાં, આંગણવાડી, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ, જુવેનાઈલ હોમ, આશ્રમ શાળાના બાળકોની 31મી જાન્યુઆરી 2020 સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ થયેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જેવા અંતરિયાળ જિલ્લામાં ખામીવાળા બાળકોને સારવાર મળી રહે તે માટે જિલ્લા પંચાયત મહીસાગર, GCS મેડિકલ કૉલેજ, જનરલ હોસ્પિટલ લુણાવાડાના સહયોગથી બાળરોગ નિષ્ણાંત, નાક, કાન, ગળા, ચામડી, આંખ, દાંતના રોગના નિષ્ણાંતો દ્વારા વિવિધ કેમ્પ યોજવામાં આવ્યા હતા.
જેમાં લુણાવાડા ખાતે આંખના 36, કાનના 32, બાળરોગ 43, દાંતના 21, ચામડીના 35 તથા કડાણા ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં આંખના 29, કાનના 9, બાળરોગ 31 દાંતના17, ચામડીના 16 બાળકો તથા સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં બાળરોગ 33, દાંતના 47, આંખના-104, કાન-નાક-ગળાના-12, ચામડીના 47 બાળકોની તપાસ કરાઇ, બાલાસિનોર ખાતે કાન-નાક-ગળાના-10, ચામડીના 8, બાળ રોગના 27, આંખના-18 તથા વિરપુર ખાતે યોજાયેલા કેમ્પમાં આંખના-6, નાકના-9 બાળ રોગ-19 ચામડીના-12 બાળકોની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં યોજાયેલ અત્યાર સુધીના વિવિધ કેમ્પમાં કુલ 621 બાળકોને સારવાર આપી જે પૈકી 81 બાળકોને વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકો અને વાલીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યો છે.