- કલેકટર આર.બી.બારડે પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાત
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય તે માટે ચર્ચા કરી
- આધુનિકરણ અને ખૂટતી સાધન-સામગ્રીનુ આયોજન
મહીસાગરઃ કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એજ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે, ત્યારે મહીસાગર જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ કપરા સમયમાં આરોગ્ય કર્મીઓ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આમ છતાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આધુનિકરણ તથા કઇ-કઇ સાધન સામગ્રીની જરૂરિયાત છે. તેનો ખ્યાલ આવી શકે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ખાનપુર તાલુકાના પાંડરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
સાધન-સામગ્રી બાબતે ચર્ચા
જિલ્લા કલેકટર આર.બી.બારડે તેમની આ મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરી કેન્દ્રના તબીબ સાથે આધુનિકરણ તથા જરૂરી સાધન-સામગ્રી બાબતે ચર્ચા કરી હતી.
ખૂટતી સાધન-સામગ્રીનુ આયોજન
કલેકટરે મુલાકાત દરમિયાન સંબંધિતો સાથે ચર્ચા કર્યા બાદ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને CHSC ના આધુનિકરણ અને ખૂટતી સાધન-સામગ્રીની જરૂરિયાત આયોજન કરી કેન્દ્ર વાર આયોજન કરી ત્વરિત મોકલી આપવા સુચવ્યું હતું. કલેકટરની આ મુલાકાત દરમિયાન ખાનપુર તાલુકાના લાયઝન અધિકારી અને મામલતદાર સાથે રહ્યા હતા.