કચ્છઃ સુકો પ્રદેશ છે છેલ્લા બે વર્ષોને બાદ કરતા દર ત્રીજા વર્ષે દુકાળ અને અછતનો સામનો થાય છે. સામાન્ય રીતે 125 મીમી એટલે કે પાંચ ઈંચ વરસાદ થાય તો વરસાદની અછત રહેતી નથી. પણ તમામ બાબતોનો આધાર જે તે તાલુકાના મામલતદાર કચેરી પર રહેલા યંત્રો પર રહેતો હતો. અનેક વખત કચ્છમાં અછત સમયે આનાવારી થાય ત્યારે તાલુકામાં વરસાદના ચોક્કસ આકડાઓના અભાવને પગલે જયા વરસાદ થોડો પણ ન થયો હોય તે તાલુકાના આનાવારી સ્પષ્ટ થતી નહોતી. આ ઉપરાંત કેટલો વરસાદ થયો તેનો સ્પષ્ટ આકડો પણ મળતો નહોતો. આ વચ્ચે કચ્છના તંત્રએ વરસાદ માપક યંત્રો વધાર્યા છે. તેનું એ પરીણામ આવ્યું કે આ વર્ષે સમગ્ર રાજયમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે. તેમાં આ માપન યંત્રોની ભુમિકા પણ મહત્વપુર્ણ બની જાય છે.
ભૂજ સ્થિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના મામલદાર સી.જે. પ્રજાપતિએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, આમ તો દરેક તાલુકા મથકોએ આ યંત્રો મુકાયેલા હતા. જિલ્લાના દસ તાલુકા અને ખાવડા મળીને કુલ 11 યંત્રો વર્ષોથી કાર્યરત છે. પરંતુ વરસાદને પેટર્ન એનાલીસીસ માટે ખાસ ડેટા માટે તંત્રએ વધુ 17 જેટલા વરસાદ માપક યંત્રો લગાવ્યા છે. અબડાસા મામલતદાર કચેરી ઉપરાંત વધુ બે યંત્રો લગાવવામાં આવ્યા, 3 અંજારમાં, 2 ભચાઉમાં, 1 ભૂજમાં, 1 ગાંધીધામમાં, 2 દયાપરમાં, 2 માંડવીમાં, 2 મુંન્દ્રામાં, 3 નખત્રાણામાં અને 1 રાપરમાં લગાવાયા છે. આ તમામ મળીને કચ્છમાં હાલ 27 યંત્રો કાર્યરત છે.
હવામાન વિભાગના ચોકકસ નિયમો મુજબ 50 બાય 50 કિ મીના એરિયામાં ઓછામાં ઓછા 3 અથવા 4 વરસાદ માપક યંત્ર હોય તો 82 ટકા સુધીનો સ્પષ્ટ રીતે વરસાદ માપી શકાય છે. કચ્છમાં ગત વર્ષે 187 ટકા વરસાદ નોંધાયો હતો. પણ આ વર્ષે નવા યંત્રોની મદદ સાથે થયેલી કામગીરીમાં જિલ્લામાં 275 ટકા જેટલો વરસાદ માપવામાં આવ્યો છે. આ ચોકકસ માપનને આધારે વિવિધ કામગીરમાં ખુબ સરળતા રહેશે અને આગામી સમયમાં તેનો મહત્તમ ઉપયોગ પણ થશે.