- વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો
- ચેકથી નહિ પરંતુ રોકડેથી ફી ભરવાનો આગ્રહ કરવામાં આવે છે
- એક જાગૃત નાગરિકની ખાનગી શાળાઓ સામેની પહેલ
ભુજ: વાલીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ખાનગી સ્કૂલો વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતાં કે, શહેરની ખાનગી શાળાઓ દ્વારા છાત્રોને ફી બાબતે જાહેરમાં કહેવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં પ્રવેશ ન આપવાની સાથે સાથે એડમિશન રદ કરવાની તેમજ પરીક્ષાથી વંચિત રાખવાની ધમકી આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.
અન્ય વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિરોધ કરતા નથી
એક જાગૃત નાગરિક અને એક્સ આર્મીમેન એવા અશોકસિંહ જાડેજાના પુત્રને શાળામાં અવારનવાર ફી બાબતે માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો તેમણે કર્યા છે. તેઓ નિયમિત ફી ભરતા હોવા છતાં હાલના સંજોગોમાં એકાદ વખત મોડા પડતા ચેકથી ચુકવણું કર્યું હતું. જોકે, શાળા સંચાલકોએ ચેક સ્વીકાર ન કરીને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સિવાય પરીક્ષામાં બેસવા નહિ મળે અને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે અને ચેકથી ફી નહિ સ્વીકારાય એમ કહીને વિદ્યાર્થીઓનું મનોબળ નબળું કરવામાં આવ્યું હતું. અનેક ખાનગી શાળાઓ પોતાના ખાનગી નિયમો જબરદસ્તીથી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પાસેથી અનુસરાવે છે. અમુક વાલીઓ ચૂપ રહીને બધું સહન કરે છે. કારણ કે, તેમના બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે.