કચ્છઃ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ડેસબોર્ડથી ગાંધીધામના લોકડાઉનની સ્થિતી જાણી હતી, ત્યારબાદ તેમણે ગાંધીધામના SP પરીક્ષિતા રાઠોડ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી અને લોકડાઉનમાં વાહનોની અવર-જવર બાબતે નારાજગી વ્યકત કરી હતી. આ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
કચ્છના ગાંધીધામમાં પોર્ટ પરિવહન સહિત ખાનગી પરિવહન પણ વધુ છે. આ સ્થિતીમાં લોકડાઉનની નિષ્ફળતાની બુમરાણ ઉઠી હતી. બે દિવસ પહેલાં રાજય પ્રધાન વાસણ આહીરે કામગીરીની સમીક્ષા કર્યા બાદ સ્થિતી સુધરે તેવા દ્રશ્યો અને કામગીરી શરૂ થઈ હતી, પરંતુ ફરી સ્થિતી એ જ હતી. આ વચ્ચે મુખ્યપ્રણધાને પ નારાજગી વ્યકત કરતાં પોલીસ અંતે કામગીરીમાં જોતરાઈ છે.
ગાંધીધામના SP પરીક્ષિતા રાઠોડે ETV BHARATને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનની સૂચના બાદ પોર્ટ પરિવહન, શ્રમિકોના અવર-જવર બાબતે ચોક્કસ નિયમો ઘડાયા છે. આ બાબતે અંજારના નાયબ કલેક્ટર દ્વારા એક પત્ર મળ્યો છે, જેમાં કચ્છ કલેક્ટરના જાહેરનામા અંગેના આદેશોના પાલનની સૂચના અપાઈ છે. જેમાં હવેથી સવારે 11થી સાંજે 5 સુધી ખાનગી વાહનોની અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે, જયારે પોર્ટના શ્રમિકોના પણ આ જ સમયમાં બંદર પર આવવા જવાનું રહેશે.
લોકડાઉન વચ્ચે તમામ બંદરોને કેન્દ્ર સરકારે ‘આવશ્યક સેવા’ હેઠળ આવરી લઈ તેની કામગીરી ચાલુ રાખવા સૂચના આપી છે. પોર્ટની કામગીરી ચાલુ રહેતાં મજૂરો અને ટ્રકોની અવર-જવર પણ યથાવત રહીં છે. શિપીંગ મંત્રાલયે વળી તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનોની અવર-જવર પર છૂટ આપી છે.