ખેડા : નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં છેલ્લા લગભગ 10 દિવસથી ગામમાં આવેલા વિવિધ મંદિરોમાં હનુમાનજીની મૂર્તિને નિશાન બનાવી કોઈ વ્યક્તિ દ્વારા મૂર્તિઓને ખંડિત કરવામાં આવી રહી છે. ગામના ભગલેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, રામજી મંદિર સહિતના 5 જેટલા મંદિરોમાં હનુમાનજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે.
આ ઘટનાને કારણે ગ્રામજનોની લાગણી દુભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. ગામની શાંતિ ડહોળવા માટે ઇરાદાપૂર્વક આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ મામલે ગ્રામજનો દ્વારા ચકલાસી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
જો કે, મૂર્તિઓને કેમ ખંડિત કરવામાં આવી રહી છે. તે જાણી શકાયુ નથી. હાલ ગ્રામજનો દ્વારા આરોપીને ઝડપી પાડવા તમામ મંદિરો પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ આચરનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ છે.