ખેડા :નડિયાદના કણજરીના 12 વર્ષીય મહમદ માહી વ્હોરા, 6 માહીરાબેન વ્હોરા, 14 વર્ષીય હુમેરા વ્હોરા અને મહુધાના 49 વર્ષીય હર્ષદભાઈ પ્રજાપતિને કોરોના વાયરસનો ચેપ લાગેલો હોવાથી તેઓને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી.
તમામને હોસ્પિટલમાંથી ઘરે જતાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અલ્લાહની કૃપા અને ડોક્ટરોની મહેનતથી અમને સારું થયું છે. તેમનો ખુબ જ આભારી છે. હું જિલ્લા પ્રશાસનનો તથા હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું. મને આ મહામારીમાં ખૂબ જ હિંમત આપી. મારી સેવા સુશ્રુષા કરી જેના કારણે આજે હું સહી સલામત રીતે મારા ઘરે પરત ફરી રહ્યો છું. મારી નગરજનોને એક નમ્ર અપીલ છે કે, આ રોગની ગંભીરતા સમજીને તેને વધતો અટકાવવા સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો તો તમારી સાથે તમારા કુટુંબ અને સ્નેહીજનોની જિંદગી સુખમય રહેશે.