જૂનાગઢ: ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ જિલ્લામાં મર્યાદિત યાત્રીઓ સાથે સોમવારથી એસટી નિગમની કેટલીક બસોનું સંચાલન કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. જે કારણે એસટી બસો મુસાફરો સાથે માર્ગ પર દોડતી જોવા મળશે.
સોમવારથી ત્રીજા તબક્કાના લોકડાઉનનો અમલ થવા જઈ રહ્યો છે. ત્યારે ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ જિલ્લામાં સોમવારથી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કેટલીક બસોને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારા ધોરણ મુજબ શરૂ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે.

એસટી નિગમની એક બસમાં 30 યાત્રીઓ સાથે શરૂ કરવાની મંજૂરી આપવામા આવી છે. આ દરમિયાન સામાજિક અંતરનો ચુસ્તપણે પાલન કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. તેમજ દરેક બસમાં 30 કરતાં વધુ યાત્રીઓને લઈ જવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.

જો કોઈપણ બસમાં 30 કરતા વધુ યાત્રીઓ મુસાફરી કરતા જોવા મળશે, તો બસના ડ્રાઈવર અને કંડક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ રાજ્ય સરકારે કરી છે.