- ઉપરકોટના રીનોવેશનમાં વર્ષો બાદ જોવા મળી સૈનિકોના રહેવા માટેની વાવ
- ઉપરકોટના રીનોવેશન બાદ હજાર વર્ષ પહેલા બનાવવામાં આવેલી વાવ જોવા મળી
- અહીં યુદ્ધ દરમિયાન સૈનિકોનું ગુપ્ત ઠેકાણું હોવાનું ઉપરકોટના ગાઇડનો અભિપ્રાય
- અહીં સૈનિકોને ગુપ્ત રીતે રાખવામાં આવતા સૈનિક વાવ નામ રાખવામાં આવ્યું
- ઉપરકોટમાં આવતા યાત્રિકો માટે એક નવા સ્થાપત્યનું નજરાણું
જૂનાગઢઃ હાલ ઉપરકોટનું રિનોવેશન ચાલી રહ્યું છે, ત્યારે રિનોવેશન કામ દરમિયાન ઉપરકોટના દરવાજાની બિલકુલ નજીક વર્ષો પહેલા બનાવવામાં આવેલી વાવ જોવા મળી છે. અંદાજિત 100 વર્ષ પહેલા આ વાવ બંધ હોવાનું ઉપરકોટના ગાઈડ માની રહ્યા છે. આ વાવ સૈનિકોને રાખવા માટેના ગુપ્તા સ્થાન સમાન હતી. જેને લઇને તેને સૈનિક વાવ નામ આપવામાં આવ્યું હતું. આ વાવ આજે 100 વર્ષ પછીના સમયે ખુલી રહી છે. જે આગામી દિવસોમાં ઉપરકોટમાં આવતા યાત્રિકો માટે એક નવા સ્થાપત્યનું નજરાણું પણ પૂરું પાડશે.
ઉપરકોટના કિલ્લાના રીનોવેશન બાદ જોવા મળી હજાર વર્ષ જૂની સૈનિક વાવ
હાલ ઉપરકોટના કિલ્લામાં રિનોવેશન કામ ચાલી રહ્યું છે, ત્યારે ઉપરકોટના દ્વારની બિલકુલ નજીકમાં આજથી 1000 કરતાં વધુ વર્ષ પહેલા બનાવવામાં આવેલી વાવ જોવા મળી છે. ઉપરકોટમાં ગાઈડનો વ્યવસાય કરતા લોકોએ આ વાવ પ્રથમ વખત જોવા મળી છે તેવો અભિપ્રાય આપ્યો છે. જ્યારથી ઉપરકોટનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો, ત્યારના સમયની આ વાવ હોવાનું તેના સ્થાપત્ય પરથી લાગી રહ્યું છે પરંતુ અત્યાર સુધી આ વાવના દર્શન અહીં આવતા એક પણ પ્રવાસીઓએ કર્યા નથી આ વાવ પહેલેથી ઉપરકોટના કિલ્લામાં શીલાની પાછળ બંધ જોવા મળતી હતી, ત્યારે હાલ કિલ્લામાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે હજાર કરતાં વધુ વર્ષ જૂની વાવ બહાર આવી છે જે ભારતના પ્રાચીન સ્થાપત્યનો ઇતિહાસ પણ બતાવી જાય છે.
પ્રાચીન સમયમાં સૈનિકોના ગુપ્ત રહેઠાણ તરીકે આ વાવનો ઉપયોગ થતો હતો
મહારાજા ઉગ્રસેન દ્વારા આજથી હજારો વર્ષ પૂર્વે ઉપરકોટના કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તેવો ઐતિહાસિક પૂરાવાઓ જોવા મળે છે, ત્યારે આ વાવમાં સૈનિકોના એક ગુપ્ત સ્થાન સમાન સૈનિક વાવ જોવા મળી છે. આ વાવનો ઉપયોગ રાજા-મહારાજાઓ દ્વારા તેમના સૈન્યને ગુપ્તરીતે સાચવવાનો અને રાખવાનો કિમીયો દર્શાવી આપે છે. કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં જ આ ગુપ્ત સૈનિક વાવ બનાવવામાં આવી છે કોઈપણ વિધર્મીઓ દ્વારા કિલ્લા પર આક્રમણ કરવામાં આવે તેવી સ્થિતિમાં હજારોની સંખ્યામાં કિલ્લાના મુખ્ય દ્વાર પાસે વાવમાં હાજર રહેલા સૈનિકો વિધર્મીઓના આક્રમણને ખાળી શકે અને સમયસર તેમના પર હુમલો કરી શકે તેવા રક્ષણાત્મક ઉદ્દેશ માટે આ વાવ બનાવવામાં આવી હોવાના સાંયોગિક પુરાવાઓ આજે ઉપરકોટમાં જોવા મળી રહ્યા છે.