જૂનાગઢ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક અને રાષ્ટ્ર નિર્માણની જવાબદારીની સાથે રાજ્ય અને દેશની સરકારોમાં દબદબો ધરાવે છે. ભાજપના મુખ્યપ્રધાનથી લઈને વડાપ્રધાન સુધીનું પદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસથી મળતું હોય છે. જેનું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે છે. એક સમયે RSSના પ્રચારક તરીકે કામ કરતા મોદી RSS માંથી ભાજપમાં આવ્યા અને હવે તેઓ વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા છે. જેના મૂળમાં RSS જોવા મળે છે.
RSS ભાજપ અને સરકાર ત્રિવેણી સંગમ : 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના રાષ્ટ્રનિર્માણ અને સામાજિક કાર્ય માટે કરવામાં આવી હતી. 98 વર્ષ પૂર્વે બનેલું આ સંગઠન આજે રાજ્ય અને દેશની સરકારમાં પોતાનું શક્તિશાળી પ્રભુત્વ ધરાવે છે. ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્ર સરકાર RSSના દિશા નિર્દેશો અને સૂચના મુજબ મુખ્યપ્રધાન કે સરકારમાં મહત્વની જવાબદારી મળતી હોય છે. જેનું ઉદાહરણ વડાપ્રધાન મોદી નજર સમક્ષ તરવરે છે. એક સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભાજપમાં આવ્યા, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને હવે દેશના વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના પ્રચારકથી લઈને વડાપ્રધાન સુધીની જે સફર છે. તેના મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પગથિયા અચૂક જોવા મળે છે. કહી શકાય કે RSSનું હવે રાજકીય પદાર્થ થઈ ચૂક્યું છે અને તેનો દબદબો સરકારોમાં જોવા મળે છે.
ગુજરાતની પહેલી સરકારના મૂળમાં RSS : ગુજરાતમાં સંપૂર્ણ ભાજપની પ્રથમ સરકારના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ બન્યા હતા. કેશુભાઈ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યાલયમાં, શાખાઓમાં કાર્યકર અને પ્રચારક તરીકે જતા હતા. ભાજપને મળેલી બહુમતીના જોરે તેઓ ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન બનવામાં સફળ રહ્યા. તેની પાછળ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિશા નિર્દેશ અને યોગદાન જોવા મળે છે. કેશુભાઈ સરકારમાં તમામ પ્રધાનમંડળ RSSની શાખામાંથી આવ્યું હતું. જે બતાવી આપે છે કે, સરકાર બનવાની સ્થિતિમાં RSS કેટલું મજબૂત અને રાજકીય રીતે ભાજપમાં પકડ ધરાવતું સામાજિક સંસ્થાન બની રહ્યું છે.
કેટલા ઉદાહરણ : ભાજપ અને RSS એક સિક્કાની બે બાજુ છે. RSSનું બંધારણ કોઈપણ રાજકીય પક્ષ સાથે સીધી રીતે જોડાયેલું નથી. જેથી ભાજપનો સક્રિય કાર્યકર RSSના કાર્યકર તરીકે ઓળખાતો નથી. કોઈપણ વ્યક્તિએ RSSમાંથી ભાજપમાં જવું હોય તો RSSમાંથી રાજીનામું આપવું ફરજિયાત છે. તો બીજી તરફ ભાજપમાંથી RSSમાં આવવું હોય તો ભાજપમાંથી રાજીનામું આપવું જરૂરી છે. તેના ઉત્તમ ઉદાહરણ પૂર્વ મહા સચિવ સંજય જોષી રામ માધવ અને વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય આપણી સામે છે.