જૂનાગઢ: થોડા દિવસ પહેલા મોરબીમાં એક અનુસૂચિત જાતિના યુવક સાથે પગાર માંગવા જેવી સામાન્ય બાબતે એટ્રોસિટીની ઘટના બની હતી. આ મામલે જયારે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીને (Minister Social Affairs Justice bhanuben babariya) પૂછવામાં આવ્યું ત્યારે તેમને ભેદી મૌન સેવી લીધું હતું. જૂનાગઢ ખાતે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હતા. તે દરમિયાન પત્રકારો દ્વારા સદર મામલે પ્રશ્ન પૂછતાં ભાનુબેન બાબરીયાએ ચાલતી પકડી હતી.
યુપી સરકારના શિક્ષણ વિભાગની સિદ્ધિઓનો ગુજરાતમાં પ્રચાર: કેન્દ્ર અને રાજ્યની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે અને સમગ્ર યોજનાની જાણકારી પ્રત્યેક વ્યક્તિને મળે તે માટે વિકાસ રથનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિવિધ યોજનાઓને લઈને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી લોકોને માહિતગાર કરાયા હતા. આ રથમાં પણ ખૂબ મોટો છબરડો એ જોવા મળ્યો હતો કે કાર્યક્રમ ગુજરાત અને જૂનાગઢમાં ચાલી રહ્યો છે પરંતુ આ રથમાં ઉત્તર પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગની સિદ્ધિઓ અને તેને લગતા બેનરો જોવા મળ્યા હતા.
સ્થાનિક નેતાઓની ગેરહાજરી: કેન્દ્રને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટેના કાર્યક્રમનું આયોજન થયું હતું ત્યારે આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર સિવાય શહેર અને જિલ્લાના એક પણ પદાધિકારી કે ધારાસભ્યની સાથે સંસદ સભ્ય પણ જોવા મળતા ન હતા. કાર્યક્રમના આમંત્રણ પત્રમાં સાંસદ અને ધારાસભ્યશ્રીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે પરંતુ આજના આ કાર્યક્રમમાં જૂનાગઢના મહિલા મેયર ગીતાબેન પરમાર ભાનુબેન બાબરીયા સાથે જોવા મળ્યા હતા.