જામનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિરીક્ષણ બેઠળ ગુજરાતની 17 જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યભરની જેલોમાં ગૃહ પ્રધાનના આદેશ બાદ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતાં તેમાં જામનગરની જેલનો પણ સમાવેશ કરાયો હતો. જામનગરની જેલમાં તપાસ કાર્યવાહીના અનુસંધાને જામનગર જિલ્લા જેલમાં એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં જામનગર પોલીસની એલસીબી અને એસઓજી સહિતની ટીમો જોડાઇ હતી અને જેલના તમામ બેરેકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અચાનક દરોડો : જામનગર જિલ્લા જેલમાં દરોડાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક જેલપ્રશાસનને આ વિશે કોઇ પૂર્વસૂચના પાઠવવામાં આવી ન હતી. તેમ જ સમયનું પણ પાકું ધ્યાન રખાયું હતું. 24 તારીખે મોડી રાત્રે 10:30 વાગ્યે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા. જે બાદ તેમની ટીમો ગૃહપ્રધાન દ્વારા જેલમાં સર્ચ ઓપરેશન કાર્યવાહી કરવાના આદેશ સાથેે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલની તમામ યાર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શા માટે ચેકિંગ : જામનગર જિલ્લા જેલમાં ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનલ વસ્તુઓ અથવા મોબાઇલ મળી આવ્યો નથી.જણાવીએ કે રાજ્યની મોટાભાગની જેલમાં નશાનો કારોબાર ચાલતો હોવાની વિગતો બહાર આવી હતી. જે અનુસંધાને ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા તમામ જેલોમાં સઘન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતાં.
શંકાસ્પદ વસ્તુ ન મળી :આમ પણ જામનગર જિલ્લા જેલમાં અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે અને અનેક વખત મોબાઇલ તેમજ સીમકાર્ડ મળવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. જોકે જ્યારે રાજ્યવ્યાપી ધોરણે આ કાર્યવાહી થઇ રહી હતી. ત્યારે આ વખતે પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું તેમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
જેલ અધિક્ષકે શું કહ્યું : સમગ્ર બાબતે જેલ અધિક્ષક એ કે ઝાલા સાથે વાત કરતા તેમણેે જણાવ્યું કે જામનગર જેલમાં તમામ કેદીઓને નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે. જે પણ કેદી પાસેથી સીમકાર્ડ અથવા મોબાઈલ મળી આવે છે તેની સામે ગુનો નોંધી અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લીધે કેદીઓ જેલમાં કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃતિ કરતા અટકી રહ્યા છે. જામનગર જિલ્લા જેલમાં મહિલા અને પુરુષ કેદી મળી કુલ 400થી પણ વધુ કેદીઓ છે. જેલમાં જુદાજુદા યાર્ડમાં અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે મોડી રાત સુધી આ ચેકિંગ ચાલ્યું હતું.