જામનગરઃ ધ્રોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓના મુદ્દે ધરણા યોજી લોકોને સીધા સ્પર્શતા અનેક મુદ્દાઓ પર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતુ.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિના કારણે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની ભષ્ટ્રાચારી નિતિના કારણે ખેડૂતો અને આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને અતિવૃષ્ટિના કારણે સમગ્ર પાક નિષ્ફળ ગયો છે તથા સિંચાઇ વિભાગના અણઘડ વહીવટના કારણે ડેમોનાં પાણી છોડવામાં આવતા હજારો ખેડૂતોની ખેતીની જમીન તથા પાકને પારાવાર નુકસાન થયું છે. તેમજ રોડ રસ્તાઓ સંપૂર્ણપણે ભષ્ટ્રાચારમાં નાશ પામ્યા છે.
મધ્યમ વર્ગના લોકોની ધંધો રોજગાર અને વેપારીઓની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. પેટ્રોલ/ડીઝલના અસહ્ય ભાવ વધારો અને ઉપર જતા વિજળીના બીલો તોતિંગ વધારો ઝીકીને ખુલ્લી લુંટ ચલાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ માસ્ક તેમજ હેલ્મેટના કાળા કાયદાના ઓઠા હેઠળ પોલીસનું દમન અસહ્ય બની ગયું છે અને સામાન્ય લોકોના ખિસ્સા હળવા કરાઈ રહ્યા છે.
મધ્યમ વર્ગના લોકોના બાળકો જે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને લોકડાઉન હોવા છતાં સ્કૂલો તરફથી ફી માટે ઉઘરાણી કરી વાલીઓ ઉપર અસહ્ય દબાણ કરી રહ્યા છે અને કોર્ટેની પણ અવગણના કરી કાયદાની ઐસીતૈસી કરીને આમ જનતાને ખુલ્લી લુંટ કરી રહેતી આ આંધળી અને લુલી લંગડી સરકારને ઢંઢોળવા આ ધરણાં પર ઉતરી આ આવેદનપત્ર આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. તેમ જણાવવામાં આવ્યું હતું. આવેદન પત્ર આપતા સમયે ધ્રોલ તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.