- સોમનાથ સમુદ્ર વોકવે પર આગામી શનિવારથી તમામ પ્રવાસીઓ કરી શકશે પ્રવેશ
- પ્રત્યેક બે કલાકના પાંચ રૂપિયાના દર સોમનાથ ટ્રસ્ટે કર્યા નક્કી
- વોક વે પર સાયકલિંગ ઘોડેસવારી અને કેમલ રાઇડિંગ ની મજા પ્રવાસીઓ માણી શકશે
જૂનાગઢ: આગામી શનિવાર અને 28 તારીખથી સોમનાથ મંદિર નજીક બનાવવામાં આવેલો આધુનિક વોકવે સામાન્ય પ્રવાસીઓ માટે પણ ખુલ્લો મુકવામાં આવશે. ગત 20 તારીખના રોજ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ સમુદ્ર વોકવે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો, જે આગામી 28 તારીખ અને શનિવારના રોજ સામાન્ય પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ વોકવેમાં પ્રવેશ કરવા માટે પ્રત્યેક વ્યક્તિને બે કલાક માટે પાંચ રૂપિયાનો ટીકીટ દર નક્કી કરવામાં આવ્યો છે દસ વર્ષ કે તેથી નીચેના વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
48 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો વોક વે
રાષ્ટ્રીય પ્રસાદમ યોજના અંતર્ગત સમુદ્ર વોકવે અંદાજિત 48 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેની લંબાઇ દોઢ કિલો મીટર રાખવામાં આવી છે. આ વોકવેમાં સાયકલિંગની સાથે ઊંટ અને ઘોડે સવારી કરવાના તક પણ અહીં આવતા પ્રવાસીઓને મળી શકશે, સાથે સાથે દોઢ કિલોમીટરના અંતરમાં ચાલતા સોમનાથ મહાદેવની સાથે સમુદ્ર દર્શન પણ આ વોકવે એક અલગ નજરાણું પૂરું પાડશે.
સ્થાનિકો માટે બનાવવામાં આવી યોજના
અહીં નાના રોજગાર ચલાવતા દુકાનદારો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ઊંટ ઘોડા અને ફોટોગ્રાફરો માટે સોમનાથ ટ્રસ્ટ વિશેષ આઈ કાર્ડ આપીને તમામનો પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવશે. વધુમાં સ્થાનિક લોકો માટે 50 રૂપિયાના માસિક દરે એક મહિના સુધી વોકવે માં પ્રવેશ કરવાની યોજના સોમનાથ ટ્રસ્ટે બનાવી છે. જે આગામી 28 તારીખ અને શનિવારથી કાર્યરત થવા જઈ રહી છે.