- વેરાવળ- બાંદ્રા (મુંબઈ) સ્પેશિયલ ટ્રેન
- સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાની ધારદાર રજૂઆતને મળી સફળતા
- સોરઠવાસીઓમાં હર્ષનો માહોલ
વેરાવળ: ગયા વર્ષે કોરોનાના લીધે થંભી ગયેલા ટ્રેનના પૈડાં ફરી દોડતા થઈ રહ્યા છે. રેલવેએ અનેક ટ્રેનોના રૂટોમાં ફેરફાર કરી નવું ટાઈમ-ટેબલ તૈયાર કરી અનેક નવી ટ્રેનો દોડતી કરવાનું નક્કી કર્યું છે. તો સોરઠવાસીઓ અને સંસ્થાઓ સ્થાનિક પ્રજાના પ્રતિનિધિ અને રેલ વિભાગને મુંબઈની લીંક અપના બદલે સીધી ટ્રેનની સુવિધા આપવા માટે રજૂઆતો કરી રહ્યા હતા. જેને ધ્યાને રાખી થોડા સમય અગાઉ સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ રેલપ્રધાનને રૂબરૂ મળી નવા ટાઈમ ટેબલમાં સોમનાથ ભુમિથી સીધી મુંબઈ સહિતની ટ્રેનો આપવા રજૂઆત કરી હતી. દરમિયાન 23 ફેબ્રુઆરીથી વેરાવળ-બાંદ્રા(મુંબઈ) સીધી સ્પેશિયલ ટ્રેન દરરોજ દોડાવવાની રેલવે વિભાગે સતાવાર જાહેરાત કરી છે. આ જાહેરાતને સોરઠવાસીઓએ હરખભેર આવકારી છે.
ક્યાં-ક્યાં સ્ટેશનો પર રહેશે સ્ટોપ...?
મળતી માહિતી મુજબ, 23 ફેબ્રુઆરીએ ટ્રેન નં.-9218 બપોરે 11:50 વેરાવળથી ઉપડી બીજા દિવસે સવારે 5:45 વાગ્યે બ્રાંદ્રા(મુંબઈ) પહોંચશે. જયારે 24 ફેબ્રુઆરીના રોજ ટ્રેન નં.-9217 બપોરે 1:40 બ્રાંદ્રા(મુંબઈ)થી ઉપડી બીજા દિવસે સવારે 7:20 વાગ્યે વેરાવળ પહોંચશે. આ બાંદ્રા-વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ઉપરોકત ટાઇમ મુજબ જ બંન્ને સ્ટેશનોથી દરરોજ દોડશે. આ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી ઉપડી જૂનાગઢ, જેતલસર, ગોંડલ, ભકિતનગર, રાજકોટ, વાંકાનેર, થાન, મુલી રોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણીનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડીયાદ, આણંદ, વડોદરા, પાલેજ, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા, સુરત, નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી, ઘહાનુ રોડ, પાલઘર, વિરાર, બોરીવલી, અંધેરી સહિતના સ્ટેશોનો પર સ્ટોપ કરી બ્રાંદ્રા(મુંબઈ) પહોંચશે. આ ટ્રેનનું બુકીંગ સંભવત: બે-ચાર દિવસમાં શરૂ થઇ જશે.
પ્રવાસનને મળશે વેગ
સોરઠમાં ગીરનાર રોપ-વે, સાસણ ગીરનું જંગલ અને નેચર સફારી, જગવિખ્યાત સોમનાથ મંદિર સહિતના પર્યટન સ્થળોએ દર વર્ષે આવતા લાખો પર્યટકોને સુવિધા મળતી થવાથી સ્થાનિક પર્યટન ઉદ્યોગને પણ ખાસો ફાયદો થશે તેવું લાગી રહ્યું છે. તો સોરઠના વેપારીઓ, વિદ્યાર્થીઓને પણ મુંબઈની સીધી ટ્રેનની સુવિધાનો લાભ મળતો થશે.