- "તૌકતે" એ ગીર સોમનાથ જિલ્લામાં સર્જી ભારે તારાજી
- વાવાઝોડાને લીધે 10 લોકોના મોત
- વિનાશનો સર્વે કરવા 255 ટીમો કાર્યરત
- ઉના, ગીરગઢડામાં અનેક ગામડાઓ ત્રણ દિવસથી ભોજન-પાણીથી વંચિત
- પંપોમાં નુકસાની થવાને કારણે ડીઝલ અને પેટ્રોલના વેચાણ બંધ
ગીર સોમનાથઃ જિલ્લામાં વાવાઝોડાના નુકસાનનો સર્વે કરવા માટે તંત્ર દ્વારા 255 ટીમોને દોડતી કરવામાં આવી છે. વાવાઝોડાએ મોટા પાયે વિનાશ કર્યો હોવાનું બિહામણુંં ચિત્ર સ્પષ્ટ થયું છે. મકાનો, દીવાલો અને વૃક્ષ ધરાશાયી થવાને કારણે જિલ્લામાં કુલ 10 લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ અનેક ગામડાઓ સુધી ભોજન અને પાણી ન પહોંચવાને કારણે લોકો ભૂખ અને તરસથી ટળવળી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ બાલાસિનોરમાં તૌકતે વાવાઝોડાના કારણે બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાન
વાવાઝોડું પસાર થયાના 48 કલાક પછી વિનાશની સ્થિતિ
વાવાઝોડું પસાર થયાના 48 કલાક પછી વિનાશની સ્થિતિ જાણવા મળી છે. ઉના અને ગીર ગઢડા તાલુકામાં ભારે ભયાનક હાલત છે. અમુક ગામોના ખેતરોમાંથી મૃતદેહો મળી રહ્યા છે. મકાન પડવાને કારણે તાલાલાના આંકોલવાડીમાં રહેતા બોધાભાઈ પુંજાભાઈ બામણીયા, તાલુકાના નાથડ ગામે રહેતા બાલાભાઈ ભાણાભાઈ સાવધિયા તથા બાબુભાઈ પાંચાભાઇ વંશ, ઉનામાં રહેતા રાણાભાઇ ગોવિંદભાઈ શિયાણ, ઉનાના અંજાર ગામમાં રહેતા સુરેશભાઈ ઝીણાભાઈ બાંભણિયા, નારીયેળીનું ઝાડ પડવાથી અંજાર ગામમાં મંજીબેન માનસિંગભાઈ બામણીયા, દીવાલ પડવાથી ઉનામાં રહેતા સલીમ હાસમ કચરા, ઉનાના ચાચકવડ ગામમાં શાંતુબેન મોહનભાઈ સોલંકી, ગીરગઢડાના પરેઠા ગામમાં રામુબેન ગોવિંદભાઈ મકવાણા અને જુનાઉગલા ગામના દેવીબેન કનુભાઈ બાવણીયાના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે. ઉના અને ગીર ગઢડા શહેર તાલુકાના તમામ વિસ્તારોમાં થાંભલા પડી ગયા છે. તેથી આ વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલ પણ મળતું નથી. પીવાનું પાણી મેળવવું પણ મુશ્કેલ થયું છે.
આ પણ વાંચોઃ તૌકતેએ વેર્યો વિનાશ: કપરાડાના આમધા ગામે એકજ ફળિયામાં 15 ઘરોને નુકસાન
દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી
દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્રણ દિવસથી સિલોજ, ખજુન્દ્રા, રાજપરા, માણેકપુર સહિતનાં અનેક ગામોમાં લોકોને ભોજન પણ મળ્યું નથી. આ વિસ્તારમાં હજુ સુધી તંત્ર પહોંચી શક્યું નથી. ગાય, બળદ, ભેંસ, શ્વાન સહિતના પશુ-પંખીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હોય એવી ભીતિ છે. ખેતરોમાં કાચા-પાકા મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. ગીર ગઢડા અને ઉના તાલુકામાંથી તારાજીની મોટી સંખ્યામાં ફરિયાદો આવી રહી છે. મોટાભાગની ST બસો પણ બંધ છે.
વીજ વિભાગ લાગ્યું કામે
ઉના તાલુકામાં 16 સબ સ્ટેશન, 4500 વિજ પોલ અને 400 ટ્રાન્સફોર્મર બદલવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના 140 માથી 130 ગામોમાં વીજપુરવઠો શરૂ થઈ ગયો છે. PGVCLના સૂત્રોએ જણાવ્યું હતું કે, આકોલવાડી જેટકો 66 કે.વી બંધ થઈ જતા 10 ગામમાં લાઇટ બંધ છે. 693 થાંભલા, 93 સબ સ્ટેશનની ડીપી પડી ગઈ હતી. તે પણ 48 કલાકમાં ચાલુ થઈ જશે એવો વીજ વિભાગે દાવો કર્યો હતો.