ગીરસોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાવાઈરસનો પ્રથમ કેસ 28 માર્ચના રોજ નોંધાયો હતો. વેરાવળમાં રહેતા અને દુબઇથી આવેલા 65 અહમદ અબ્દુલ ગનીને કોરોનાના લક્ષણ જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાંં તંત્ર સફાળુ જાગી ગયું હતુ અને આરોગ્ય તંત્ર દ્વારા અનેક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગીરસોમનાથ સિવિલ હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફની સઘન સારવાર કોરોનાને પરાસ્ત કરવા કારગત નીવડી છે. કોરોનાગ્રસ્ત વૃદ્ધની સારવાર બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મતલબ, ગીરસોમનાથમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધે કોરોનાને માત આપી છે. અહમદ અબ્દુલ ગની પંજા સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા આજે એટલે કે શનિવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લા તંત્રના અધિકારીઓ ડોકટર્સ અને હોસ્પિટલના સ્ટાફ સહિતના ઉપસ્થિત લોકોએ અહમદ અબ્દુલ ગની પંજાને સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તેઓને ડિસચાર્જ કાર્ડ આપીને તાળીઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ 14 દીવસ સેલ્ફ હોમ કવોરનટાઈનમાં રહેવાની સુચના પણ આપી હતી.
આ તકે સંપૂર્ણ સ્વસ્થ થઇ સારવાર મૂક્ત થતા એક ખુશીની લહેર સાથે અહમદ અબ્દુલ ગની પંજાએ જણાવ્યું હતું કે, "મારી સારવારમાં કોઇ કચાસ રાખવામાં આવી ન હતી. જાનના જોખમે મને આરોગ્ય સ્ટાફ દવાનો ડોઝ નિયમિત આપતા અને સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવતો. આ સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલની સારવારને ટક્કર મારે એવી સારવાર મારી કરવામાં આવી હતી. મારા પત્નિ હાલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. મને જિલ્લાના સિવિલ હોસ્પિટલના ડોકટરો પર પુરો વિશ્વાસ છે કે, બે ચાર દીવસમાં મારી પત્નિ પણ કોરોનાને પરાસ્ત કરશે. હુ આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર સાથે સરકારનો આભાર વ્યક્ત કરૂ છું. તેમજ પવિત્ર રમજાન માસ આ મહિનામાં જ શરૂ થઇ રહ્યો છે. ત્યારે હુ ઘરમાં ઇબાદત કરીને આ કોરોનાવાઈરસ આપણા દેશમાંથી નેસ્ત નાબુદ થઇ જાય તેવી ખુદા પાસે દુઆ કરીશ."