ગુજરાત રાજ્યના ધારાસભ્યો દ્વારા અવારનવાર પગાર વધારવાની માગ કરવામાં આવે છે. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ એક થઈને પગાર વધારો કરી દેતા હોય છે, ત્યારે રાજ્યના સરપંચો દ્વારા છેલ્લા બે વર્ષથી પગાર સહિતની માગ કરવામાં આવી રહી છે. આજે રવિવારે ગાંધીનગર શહેરમાં જન અધિકાર સંઘના નેજા હેઠળ સરપંચ એસોસીએશનની કારોબારીની વરણી, આગામી સમયમાં સરકાર સામેની રણનીતિ નક્કી કરવા માટે બેઠક મળી હતી. સરપંચ એસોસિયેશન દ્વારા આગામી સમયમાં રાજ્યના તમામ સરપંચોને એક મંચ ઉપર લાવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
જામનગરના બાબુભાઈ વાગડિયાએ કહ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સરપંચ એસોસિએશન પોતાને માંગણીઓને લઈને આગળ આવી રહી છે. થોડા સમય પહેલા ગાંધીનગર પાસે અડાલજમાં રાજ્યનું સૌથી મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારે સત્તાની રૂએ સંમેલન થવા દીધું ન હતું. પરંતુ આજે મળેલી કારોબારીની બેઠકમાં જિલ્લા લેવલે સમિતિઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇને આગામી સમયમાં રાજ્યમાં સરપંચ એસોસિયેશન મોટી સંખ્યામાં કાર્યરત થશે.
રવિવારે મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, ગ્રામ પંચાયતમાં વહીવટી અને ટેક્નિકલી જગ્યાઓ ખાલી છે, તેને તાત્કાલિક અસરથી ભરવામાં આવે, સરપંચને ગામના મતદારો સુધી ચૂંટણી દ્વારા થતા હોય છે. ત્યારે સભ્યો દ્વારા આવી સ્વાસ્થ્ય દરખાસ્ત લઇ આવવામાં આવતી હોય છે. તેને રદ કરવામાં આવે, રાજ્યમાં ચૂંટાયેલા તમામ પદાધિકારીઓને માનદવેતન આપવામાં આવતું હોય છે, ત્યારે સરપંચને પણ માનદવેતન આપવામાં આવવું જોઈએ. એટીવીટી અને આયોજન મંડળની ગ્રાન્ટમાંથી રૂપિયા 1 લાખ આપવામાં આવે, પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 1 લાખ સુધીનો ખર્ચ કરવાની સત્તા સરપંચને આપવામાં આવવી જોઈએ.
જ્યારે લોક પ્રતિનિધિ તરીકે તમામ સરકારી કચેરીઓમાં સરપંચને માન સન્માન જળવાવું જોઈએ. આ બાબતની આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જ્યારે રાજ્યના તમામ સરપંચનું એક મહાસંમેલન બોલાવીને સરપંચના અવાજને સચિવાલય સુધી પહોંચાડવામાં આવશે.