ગાંધીનગર શહેરમાં બે દાયકાથી શિક્ષણની સાધના કરાવતા કિશોર ઇન્સ્ટિટયૂટ દ્વારા બોર્ડની પરીક્ષાને લઇને ટાઉનહોલમાં એક નિ:શુલ્ક સેમિનારનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થી સાથે બાળકના વાલીને પણ સેમિનારમાં હાજર રાખવામાં આવ્યા હતા. ત્યારે પોતાના નક્કી કરેલા લક્ષ્યને કેવી રીતે હાંસલ કરવું તેને લઈને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સ ઓછા આવવાના કારણે તેના વાલીઓ બાળ કે જાણે કોઇ ગુનો કર્યો હોય તે રીતે દોષ આપતા હોય છે. તેવા સમયે બાળકને આ પ્રકારે ટોર્ચર ના કરવું જોઈએ. તેવી સલાહ આપવામાં આવી હતી.
સંસ્થાના ડાયરેક્ટર કિશોરસિંહ રાજપૂતે કહ્યું કે, હાલનો સમય ટેક્નોલોજીનો છે. ત્યારે દરેક બાળક અને માતા પિતાએ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પરંતુ બાળકને ઉંમર પહેલા મોબાઈલ પકડાવી દેવામાં આવે છે. તે યોગ્ય નથી મોબાઈલના કારણે બાળક પોતાનું લક્ષ ચૂકી જવાના પણ દાખલા બન્યા છે. એપલ મોબાઈલ કંપનીના માલિક દ્વારા પણ પોતાના દીકરાને 20 વર્ષ સુધી મોબાઈલ આપવામાં આવ્યો ન હતો. આપણે તેમની પાસેથી પણ શીખ મેળવવી જોઈએ.
ધોરણ 10,12 ની પરીક્ષા વિદ્યાર્થી માટે અંતિમ હોતી નથી. તેમાં નાપાસ થયા બાદ પણ અનેક લોકો આજે આપણા દેશમાં હસ્તી તરીકે ઓળખાય છે. લક્ષ્યને પામવા માટે યોગ્ય સમય બદ્ધ હતા અને વાંચન જરૂરી છે. કોઈપણ બાળક જો જીવનમાં લક્ષ નક્કી કરે અને તે પ્રમાણે મહેનત કરે તો તે ચોક્કસ પૂરું કરી શકે છે. સેમિનારમાં હાજર વાલીઓને ખાસ જણાવ્યું હતું કે, પોતાના બાળકને મશીનના સમજો તેને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે, તો જરૂર સફળતાના શિખરો સર કરશે.