ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યો છે.
તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે તમામ ધારાસભ્યોના પગાર 30 ટકા કાપ મૂકી અને તે રકમ ફંડમાં જમા કરાવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે, 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.
રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ એલ એ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.