ગાંધીનગર : દલિત નેતા તરીકે જાણીતા જીગ્નેશ મેવાણી સતત સરકારને ઘેરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ચર્ચામાં પ્રધાન ઈશ્વરભાઈ પરમાર, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલને એક ચેલેન્જ આપી હતી. આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે," 14મી એપ્રિલ આંબેડકર જયંતીના દિવસે રાજ્યમાં 15 ગામોની પસંદગી કરો અને ત્યાં 15 ઓગસ્ટ સુધીમાં અસ્પૃશ્યતા દૂર થાય એવું આયોજન કરો. પરંતુ આ પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યુ નથી".જેની પરથી એ એ સાબિત થાય છે કે, ગુજરાતમાંથી અસ્પૃશ્યતાનું કલંક દુર કરવાની ઈચ્છાશક્તિ સરકારમાં નથી.
તેમણે ઉમેર્યુ હતું કે,"ટૂંક સમયમાં ચંદ્રયાન 3 છોડવામાં આવશે. તેમ છતાં પણ રાજ્યમાં દલિત સમાજના વાલ્મિકી જ્ઞાતિના ભાઈઓ બહેનો દ્વારા ગટરની સફાઇ પણ ગટરમાં ઉતારીને કરવામાં આવી રહી છે. જેના કારણે વાલ્મિકી સમાજના ભાઈ બહેનોના જીવ જોખમમાં છે. આ ભાઇ-બહેનો અવસાન પણ આ કામગીરી દરમિયાન થાય છે. આગામી બજેટમાં ગટર સાફ માટેના યંત્રોની ખરીદીની જોગવાઈ સરકાર કરશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં પણ સરકારે કોઈ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો ન હતો. એલઆરડી ગેરબંધારણીય અને સરકારે લાગુ કરીને એસ.સી એસ.ટી અને ઓબીસીની 2566 બેહનોને અન્યાય કર્યો છે અને સરકાર પોતાની વાત ફેરવી દીધી છે'
એટ્રોસીટીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "પાટણ બનાસકાંઠામાં કોર્ટ દ્વારા એક્રોસીટીની રાહત મેળવનાર દલિત સમાજના ભાઇ-બહેનો પાસેથી સહાય નાણાં પરત મેળવ્યા હોવાનું પણ માલૂમ પડયું છે. આ નાણાં પરત મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગએ પત્ર લખ્યો હોય તેવું પણ જાણવા મળ્યું છે. આ સરકાર ગૃહમાં ધારાસભ્યોના માત્ર પ્રશ્નો સાંભળવા તૈયાર છે. પરંતુ દલિતના પ્રશ્નને ઉકેલવા માટે કોઈ અસરકારક કામગીરી કરતી નથી. એટલે કે એમ કહી શકાય કે આ સરકાર દલિત વિરોધી સરકાર છે.