ગાંધીનગરઃ ન્યુ ગાંધીનગરમાં રૂપિયા રળવા માટે આડેધડ નિયમોને નેવે મુકીને બિલ્ડરો દ્વારા ખોદકામ કરવામાં આવતું હોય છે. ત્યારે 8 મહિના પહેલા ગાંધીનગર શહેરના રિલાયન્સ ચોકડી પાસે એક બિલ્ડિંગ સાઈડમાં માટીની ભેખડ ધસી પડતા 4 લોકોના મોત થયા હતા. આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવાર બપોરના 3 કલાકના અરસામાં ગિફ્ટ સિટી પાસે રાંદેસણ ગામની સીમમાં બની રહેલી સંસ્કૃતિ બિલ્ડિંગ સાઇટ પર ભેખડ ધસી પડતા બે મજૂરના મોત થયા હતા.

સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી, મુજબ આશરે 35 વર્ષીય બિહારનો રહેવાસી કૌશલ અને ગાંધીનગરના શાહપુર ગામમાં રહેતો આકાશ ઠાકોર નામના યુવકનું ભેખડ ધસી પડતા મોત થયું હતું. ત્યારે આકાશ ઠાકોરનો મૃતદેહ ઝડપથી બહાર કાઢવામાં ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને સફળતા મળી હતી. જ્યારે કૌશલ નામના યુવકનો મૃતદેહ ખૂબ જ નીચે દબાઈ ગયો હોવાના કારણે તેને બહાર કાઢતાં સમય લાગ્યો હતો. જ્યારે આ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવે તે દરમિયાન યુવકનું અવસાન થઈ ગયું હતું.

બિહારના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ અન્ય મજૂરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું અને બિહારના યુવકો દ્વારા વળતરની માગ કરવામાં આવી હતી. જ્યાં સુધી વળતર આપવામાં ન આવે ત્યાં સુધી તેના મૃતદેહને હટાવવા નહીં દેવામાં આવે તેવી માગ સાથે બેસી ગયા હતા, પરંતુ આખરે લાંબા સમયની સમજાવટ બાદ બિહારના યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે મોકલી આપ્યો હતો. આ ઘટના બાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના PI રાજપૂત, PSI દિનેશ પટેલ જ્યારે ફાયર બિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કામગીરી હાથ ધરી હતી.