કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિતના ત્રણ ધારાસભ્યો પર પક્ષ વિરુદ્ઘ કામ કરવાના આક્ષેપ સાથે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવા હાઈકૉર્ટમાં અપીલ કરી છે. આ ત્રણમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ધવલસિંહે આજે કોંગ્રસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાર્ટીએ ફક્ત લોકોમાં અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનવા માટે હાઈકૉર્ટમાં અરજી કરવાનો સ્ટંટ કર્યો છે. કોંગ્રેસ પાસે અમને સસ્પેન્ડ કરવાની સત્તા છે, તો અમને સસ્પેન્ડ કેમ નથી કરતા?
કોંગ્રેસની કોઈ પણ મિટીંગનું આમંત્રણ મળતુ નથી. રાજ્યસભાની ચૂંટણી બાબતે ઝાલાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ અમને ઘરે વ્હીપ મોકલવાની છે. પરંતુ ઈલેક્શન પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસ પક્ષ તેમને મોકલશે તેમ લાગી રહ્યું છે.. તેમણે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપતા કહ્યું કે અલ્પેશ ઠાકોરના કદ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ તેમની સતત અવગણના કરી છે. ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અફવાઓ ફેલાવી હતી. કોંગ્રેસમાં હાલ જૂથ પડેલા દેખાઈ રહ્યાં છે. હાઈકૉર્ટમાં દાખલ કરેલી અરજી ફક્ત બદનામ કરવા માટે કરાઈ છે. પ્રજાએ તેમને ચૂંટણીમાં જવાબ આપી દીધો છે.
રાજ્યસભા ચૂંટણી સંદર્ભે તેમણે કહ્યું હતુ કે, અલ્પેશ ઠાકોર સાથે બેઠક કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં જ જાણ થશે કે બાગી ધારાસભ્યો ભાજપને ફાયદો પહોંચાડે છે કે કોંગ્રેસને સાથ આપે છે.