ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૨૨મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આ સૂચનો કર્યા હતા. તેમણે આ વન્ય પ્રાણી વિસ્તારોમાં જ્યાં ઘાસ કે ઝાડ ન હોય અને ખુલ્લી જમીનો હોય તેનો પણ સર્વે હાથ ધરવાનું પ્રેરક સૂચન પણ આ બેઠકમાં કર્યું હતું.
આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો : બાલારામ-અંબાજી અભયારણ્યના ઇકો સેન્સિટીવ ઝોન વિસ્તારમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી બ્રોડગેજ રેલવે લાઈન નાખવાની પ્રપોઝલ સ્ટેટ બોર્ડની ભલામણો સાથે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફમાં મોકલવા નિર્ણય લેવાયો છે. ગીર અભયારણ્ય અને રાજ્યના જુદા-જુદા અભયારણ્યોમાં હયાત કાચા રસ્તા-નાળા-પુલ પહોળા કરવા- અંડરગ્રાઇન્ડ પાઇપલાઇન-66 KV સબ સ્ટેશન સહિતની દરખાસ્તોને અનુમતિ અપાઇ છે.જૂનાગઢ જિલ્લાની મઘરડી નાની સિંચાઈ યોજનામાં જંગલની જમીન ઉપયોગમાં લેવાના બદલાની જમીનમાં પ્રેમપરાની 38.23 હેક્ટર જમીનને વન્ય પ્રાણી સંરક્ષણ ધારા-1972 અંતર્ગત આ વર્ષે પ્રેમપરા અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલી છે તેમ જણાવવામાં આવ્યું હતું.
રાજ્યના અભયારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. વન્ય અભ્યારણ્ય વિસ્તારોમાં રેલવે લાઈન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા પ્રોજેક્ટથી થતી પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ થવો જોઈએ. આ વન્ય પ્રાણી વિસ્તારોમાં જ્યાં ઘાસ કે ઝાડ ન હોય અને ખુલ્લી જમીનો હોય તેનો પણ સર્વે હાથ ધરવાનું સૂચન કર્યું છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)
ઇકો સેન્સિટીવ ઝોનની નવી દરખાસ્તો રજૂ : સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની આ 22મી બેઠકમાં રાજ્યના ગીર, જાંબુઘોડા, પૂર્ણા, જેસોર, નારાયણ સરોવર, કચ્છ અભયારણ્ય સહિતના અભયારણ્યમાં હયાત કાચા રસ્તા, નાળા-પૂલીયાને પહોળા કરવા કે મરામત કરવી તેમજ 66 KV સબ સ્ટેશન અને વીજ લાઈન તેમજ IOCની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન, જેવી દરખાસ્તો વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ-29ની જોગવાઈઓ ધ્યાને રાખીને મંજૂર કરવામાં આવી હતી. વનપ્રધાન મુળૂભાઇ બેરા અને રાજ્યપ્રધાન મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતી કેટલીક નવી દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી હતી.
અંબાજી આબુરોડ નવી બ્રોડગેજ લાઈન : તદઅનુસાર, બાલારામ-અંબાજી અભ્યારણ્યના ઇકો સેન્સિટીવ ઝોન વિસ્તારમાં તારંગા હિલથી અંબાજી - આબુરોડ નવી બ્રોડગેજ લાઈન નાખવા વન્યજીવ દ્રષ્ટિકોણથી ભલામણ સહિતની પ્રપોઝલ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકમાં મૂકવામાં આવી હતી. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આવી દરખાસ્તો સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ભલામણ મેળવીને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ મોકલવાનું જણાવાયેલું છે. વન વિભાગ હવે આ દરખાસ્તને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફમાં મોકલશે તેવું પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
કાર્યવાહી કરવાની સત્તાઓ : રાજ્યમાં સુધારેલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972નો અમલ કરવામાં આવે છે તે અંગેની વિસ્તૃત વિગતો અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ શ્રીવાસ્તવે આ બેઠકમાં પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. કલમ 25-A અનુસાર જમીન સંપાદન, પૂનર્વસન અને પુન:સ્થાપન અધિનિયમ-2013માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર અન્વયે કાર્યવાહી કરવાની સત્તાઓ જિલ્લા કલેકટરને આપવામાં આવેલી છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
અભયારણ્ય સંચાલન : કલમ-33 અંતર્ગત ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર તેમના દ્વારા મંજૂર કરાયેલા અભયારણ્ય માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર અભયારણ્યનું નિયંત્રણ સંચાલન અને રક્ષણ કરશે તેવી જોગવાઈની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી.
સંરક્ષણ કન્ઝર્વેશન સામે વિકાસ-ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ અપનાવીને સ્ટડી અને એસેસમેન્ટ અભ્યારણ્ય વિસ્તારમાં કરવાની આવશ્યકતા છે...રાજકુમાર (મુખ્ય સચિવ)
વન્ય પ્રાણીઓની વસતી : વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનના ભાગરૂપે વન વિભાગ દ્વારા સામાન્યતઃ દર પાંચ વર્ષે રાજ્યમાં વન્ય પ્રાણીઓની વસતીનો અંદાજ મેળવવામાં આવે છે. આ સંદર્ભમાં થયેલી છેલ્લી વસતી ગણતરી મુજબ ડોલ્ફિન, રીંછ, ગીધ, વરુ, ઝરખ, ચિત્તલ અને નીલગાય જેવા પ્રાણીઓની વસતીમાં થયેલ વૃદ્ધિની વિગતો બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.