ડાંગ: ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે ભાડાની સહાય કરવામાં આવી હતી. કોરોના વાઇરસના સંક્રમણને લઇને સમ્રગ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થતા ડાંગ જિલ્લામાં ધંધા રોજગારી અર્થે આવેલ પરપ્રાંતીય શ્રમિકોના ધંધા રોજગાર ખોરવાતા શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે.
આ સંકટ સમયમાં તેમને વતન સુધી પહોંચાડવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં આદેશ અનુસાર તેમજ એ.આઈ સી.સીનાં સભ્ય ગૌરવ પંડ્યા, ધારાસભ્ય અનંત પટેલનાં સહયોગથી ડાંગ જિલ્લાનાં સુબીર આહવા વઘઇ તાલુકાઓમાં લોકડાઉનની પરિસ્થિતિમાં અટવાયેલા શ્રમિકોની ડાંગ કોંગ્રેસ સમિતી દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાની હેઠળ લોકડાઉનમાં ફસાયેલા (60) જેટલા પરપ્રાંતિય શ્રમિકોને માદરે વતન પરત જવા માટે ૭૫૦ રૂપિયા રોકડ ટ્રેનનું સહાય રૂપી ભાડું ચૂકવવામાં આવ્યું છે. જેને લઇ શ્રમિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને ડાંગ કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.
વધુમાં મોતીલાલ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આવનારા દિવસોમાં પણ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા માદરે વતન જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકો માટે ભાડાની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે આહવા અને વઘઇ ખાતે શ્રમિકોને ભાડુ ચુકવતી વેળાએ પ્રદેશ મંત્રી તબરેઝ અહેમદ,મહિલા પ્રમુખ લતાબેન ભોયે, કોંગ્રેસ આગેવાન સ્નેહલ ઠાકરે, નંદુ ભદાણે,શરદ પવાર,સંજય પવાર,રમેશ ભોયે,વઘઇ સરપંચ મોહન ભોયે સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી માદરે વતન જતા શ્રમિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.