ડાંગઃ જિલ્લામાં ભગત મંડળી દ્વારા કોરોના મહામારીથી બચવા માટે વધઇનાં ગ્રામજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતુ,સાથે જિલ્લા વહીવટી તંત્રના આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ગામે ગામ જઇને લોકોને રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે.
હાલ સમગ્ર દેશમાં ફેલાય રહેલી કોરોનાની મહામારીએ સૌ કોઈને ચિંતીત કરી દીધા છે. આ ગંભીર બિમારીથી બચવા માટે હાલમાં લોકો આયુર્વેદિક ઉપચાર કરી રહયા છે,જેના ભાગરૂપે ડાંગ જીલ્લાની ભગત મંડળીનાં સભ્યો દ્રારા જંગલોમાંથી એકત્રિત કરેલ વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ આયુર્વેદિક ઉકાળાનુ વઘઇ શાકભાજી માર્કેટ ખાતે લોકોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં 300 જેટલા લોકોએ આ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.
આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરતી વેળાએ ભગત મંડળીનાં કિરણ ભોયે,સંતુભાઇ ચૌધરી,દેવસિંગ ગામીત,વિજય ગાયકવાડ સહિત અન્ય સભાસદોએ સહભાગી બની મુખ્ય માર્ગ પર અવરજવર કરતા લોકોને પણ આયુર્વેદિક ઉકાળા નો લાભ આપ્યો હતો.
ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર ધરાવતો હોવાથી અહી વનસ્પતિનાં ઉપયોગ દ્વારા ઉપચાર કરવાની પ્રથા છે, ત્યારે ડાંગની ભગત મંડળી દ્વારા ઔષધીયુક્ત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું હતુ.