વાપી : ટ્વીન સીટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા ક્ષયરોગનો ભોગ બનેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા પોષણયુક્ત આહારની કીટ આપી આ ગંભીર રોગના નિદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે સરકાર વર્ષોથી ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવી દર્દીઓને ડોટ્સ હેઠળ સાજા કરી રહી છે, ત્યારે આ સેવાના કાર્યમાં પ્રાઇવેટ સેકટર પણ મદદ કરી શકે તેવી ભાવનાથી આ ન્યુટ્રિશયન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે આ કાર્યક્રમમાં ક્ષયરોગના દર્દીઓને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ કરાવનાર સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના સિનિયર ઓપરેશન મેનેજર ભૌમિક પંડ્યાએ જણાવ્યું હતું કે તેમની કંપની દર વર્ષે આવા અનેક કાર્યક્રમો યોજે છે. વાપીમાં ઔદ્યોગિક એકમોને કારણે અને ગીચ વસ્તીને કારણે ક્ષયરોગનું પ્રમાણ વધી રહ્યુ હોવાનું ધ્યાનમાં આવતા આવા દર્દીઓને જરૂરી મદદ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ન્યુટ્રિશયન પ્રોગ્રામમાં 20થી વધુ ક્ષયરોગના દર્દીઓને વલસાડ ક્ષય નિયંત્રણ અધિકારીઓના હસ્તે દાળ, ચોખા, ઘી, ગોળ, રવો, લોટ સહિત અનાજના પેકેટ અને સ્વચ્છતા માટે સેનીટાઇઝર સહિતની ચીજવસ્તુઓની કીટ અને ફળો આપી ક્ષયરોગની સારવાર અને નિદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.