- સ્વ. હિરેન પટેલના પરિવારજનોને ફરી પ્રદીપસિંહ જાડેજા મળ્યા
- પ્રદીપસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી
- આરોપી વિરુદ્ધ ટેકનિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા
દાહોદ :જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. હિરેન પટેલના પરિવારજનોને ફરી પ્રદીપસિંહ જાડેજા મળ્યા હતા. પ્રદીપ જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેન પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે પ્રદીપ જાડેજાએ ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.
હિરેન પટેલની હત્યાના કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી
ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર અમિત વિશ્વકર્મા, એટીએસના હિમાંશુ શુક્લા, નાયબ પોલીસ મહા નિરીક્ષક એમ. એસ. ભરાડા, પોલીસ અધીક્ષક હિતેશ જોયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક બાદ એક નિવેદનમાં જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે, કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ
અત્રે યાદ અપાવવાનું જરૂરી છે કે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેકનિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે.