દાહોદ : દેશમાં લોકડાઉન જાહેર કરાતા તંત્ર દ્વારા ઘરવિહોણા અને ફુટપાથ પર રહેતા લોકો જેમાંથી અધિકાંશ પોતાનું જીવનવ્યાપન ભિક્ષા માંગીને કરતા હતા, તેઓ આ વિકટ સ્થિતિમાં ભૂખમરાનો શિકાર ન થાય અને કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત ન થાય તથા આ વાઈરસના સંવાહક ન બને તે માટે ભિક્ષુકો, નિરાશ્રિત લોકો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પરેલ વિસ્તાર, નગર પાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો પરના ભિક્ષુકો વગેરે જગ્યાએથી રૈનબસેરા ખાતેના આશ્રયસ્થાનમાં તંત્ર દ્વારા માનવતા દાખવીને લાવવામાં આવ્યા છે.

જેમાં 49 પુરૂષો, 12 સ્ત્રીઓ અને 8 બાળકોનો સમાવેશ થાય છે. આશ્રિતોનું સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. અહીંના આશ્રયસ્થાન પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સફાઇકર્મીઓ દ્વારા નિયમિત સફાઇ કરવામાં આવે છે. કોરોના સંક્રમણ બાબતે રાખવાની ચોકસાઇ પણ અહીંયા રાખવામાં આવે છે. અહીં દરેક આશ્રિતને હેન્ડ સેનીટાઇઝર, માસ્ક આપવામાં આવ્યા છે. સાથે બે વ્યક્તિઓ વચ્ચેનું સામાજિક અંતર જાળવવામાં આવે છે.

રૈનબસેરા ખાતે નહાવા અને દૈનિક ક્રિયાઓ માટેની સંપૂર્ણ વ્યવસ્થા- સ્વચ્છતા સાથે કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક આશ્રિત વ્યક્તિને એક કીટ આપવામાં આવી છે. આ કીટમાં ચાદર, રૂમાલ, નેપકીન અને કાંસકો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક આશ્રિતને નાહવાના સાબુ, માથામાં નાખવાનું તેલ, માસ્ક વગેરે પણ અલાયદા આપવામાં આવ્યા છે. પીવાનું અને વપરાશનું પાણી પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે.


આ 69 આશ્રિતોને સવાર સાંજ પૌષ્ટિક ભોજન અને બે સમય ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. દાહોદની એક સેવાભાવી સંસ્થા મનોશાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટે આશ્રિતો માટે રોજબરોજના જમવાની વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊપાડી લીધી છે. 69 વ્યક્તિનું જમવાનું તેઓ તૈયાર કરી પહોંચાડે છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, અહીં આશ્રિત ભિક્ષુકોને એક સામાન્ય માણસને જરૂરી એવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમના બે સમયના જમવા સાથે સુવિધાયુક્ત આવાસીય સગવડો કરવામાં આવી છે. કેટલાંક ભિક્ષુકો જેમને હ્રદયરોગ કે ડાયાબિટીસ જેવી બિમારી હોય તેમના જમવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાંત ડોકટરો દ્વારા સમયાંતરે ભિક્ષુકોની મેડિકલ તપાસ પણ કરવામાં આવે છે.