હાલ સમગ્ર રાજ્યમાં DAP ખાતરની થેલીમાં ઘટ હોવાની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લામાં પણ ખાતરમાં ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વજન ઓછું નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે શનિવારના દિવસે ઝાલોદ એપીએમસીમાં આવેલા ખાતર ડેપો પર તાલુકાના ખેડૂતોએ રેડ પાડીને ખાતરની થેલીઓનું વજન કરતા ૩૦૦ થી ૫૦૦ ગ્રામ વજન ઓછું હોવાનું સામે આવતા ખેડૂતોએ ખાતર ડેપો કેન્દ્ર પર હોબાળો મચાવ્યો હતો.
આ ઘટના બાદ બાબુભાઇ કટારા કાર્યકરો સાથે ડેપો પર દોડી આવ્યા હતા. અને ડીએપી ખાતરના વજન અંગે ગરીબ ખેડૂતોના ખાતરમાં કૌભાંડ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો એકાએક મોટી સંખ્યામાં ઉમટી પડતા ડેપો મેનજરે ખાતરનું વેચાણ બંધ કરી દીધું હતું. ખાતરમાં મોટાપાયે વજનમાં ઘટ જોવા મળતા આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તાત્કાલિક કાર્યવાહીની તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુત્રોચાર કરીને માંગ કરવામાં આવી હતી.