લીમખેડાના હાથીધરા ગામમાં ગૃહ રાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે શ્રી ગોવિંદ ગુરુ, બિરસા મુંડા જેવા વીર આદિવાસીઓના શહાદતને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે, પોતાના સાર્વભૌમત્વ અને દેશની રક્ષા માટે નામી અનામી આદિવાસીઓએ બલિદાન આપ્યા છે. આજે ગુજરાતે સફળતાના સોનેરી શીખરો સર કર્યા છે. તેના પાયામાં આવા વીર યુવાનોનું યોગદાન રહેલું છે.
વડાપ્રધાન મોદીએ લીધેલા કલમ 370 નાબુદીના નિર્ણયને ઐતિહાસીક ગણાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ટીમ ગુજરાતને બિરદાવતા જણાવ્યું હતું કે, તેમણે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતનો વિકાસપથ કંડાર્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે 600 જેટલા જનહિતલક્ષી નિર્ણયો લીધા છે.
સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, મા અમૃત્તમ, મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓની સફળતાઓ વિશે વાત કરી હતી.રાજયમાં કાયદો અને વ્યવસ્થા વિશે વાત કરતા જણાવ્યું હતું કે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સરકારે કડક કાયદાઓ અમલમાં મૂકયા છે. રાજયના તમામ શહેરોને CCTV કેમેરા નેટવર્કથી સાંકળી લેવા સેફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રૂ. 330 કરોડ જેટલી રકમ ફાળવી છે. પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કર્યુ છે. એ જ રીતે ન્યાયતંત્રને વધુ સબળ બનાવવા નવી કોર્ટો, મહેકમ સહિતના કામોને મંજુરી આપી છે.
જિલ્લાના શૈક્ષણિક જગતના તેજસ્વી તારલાઓ, રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનાર જિલ્લાના રમતવીરો, ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ગૃહ પ્રધાન પદીપસિંહ જાડેજાને હસ્તે પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયશર, નિવાસી અધિક કલેકટર એમ.જે. દવે, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ, નાગરિકો-બાળકો-વિદ્યાથીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.